બંગાળ-આસામની જીત બાદ ભાજપ મુખ્યાલયમાં PM મોદીએ સંબોધન કર્યું, 'લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું': PM

Assembly election Results 2026 : પશ્ચિમ બંગાળ અને આસામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બમ્પર જીત બાદ દિલ્હીમાં આવેલી ભાજપ મુખ્યાલયમાં પણ ઉજવણીનો માહોલ છે. વડાપ્રધાન મોદી ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં પાંચ રાજ્યની જનતા પ્રતિ આભાર પ્રગટ કર્યો હતો.
પાર્ટી મુખ્યાલયમાં કાર્યકરો અને ટેકેદારોનો જમાવડો થયો હતો. પીએમ મોદી પાર્ટી મુખ્યાલય પહોંચતા પાર્ટી અધ્યક્ષ નીતિન નબીન તેઓનું સ્વાગત કર્યું હતું. પુષ્પ વર્ષાની સાથે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. પીએમ મોદી આ દરમ્યાન એક અલગ જ પરિધાનમાં નજરે આવ્યા હતા.
વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા ભાજપના રાષ્ટ્રીય નીતિન નબીને પોતાના સંબોધનમાં જણાવ્યું કે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જનતાએ જે સમર્થન આપ્યું તેઓના પ્રત્યે હું આભાર વ્યક્ત કરું છુ. તેમને વધુમાં જણાવ્યું કે, જનતા હવે ભયના વાતાવરણથી ભરોસાના વાતાવરણમાં આવી ગઈ છે. તેમને કહ્યું કે, આસામ, પશ્ચિમ બંગાળ, પુડ્ડુચેરીની જનતાને પીએમ મોદીના પ્રત્યે પોતાના અપાર સ્નેહ દાખવ્યો છે. આગામી દિવસોમાં દક્ષિણના રાજ્યમાં પણ કમળ ખીલશે. ચૂંટણી પરિણામ ઈન્ડી ગઠબંધન નેતા રાહુલ ગાંધીની નિષ્ફળતા છે. જનતાની સાથે આ લોકોએ અન્યાય કર્યો છે. જેથી ઈન્ડી ગઠબંધન પત્તાના મહેલની જેમ વીખેરાઈ જશે.
ગંગોત્રીથી ગંગા સાગર સુધી કમલ જ કમળ ખીલ્યું
ચૂંટણી પંચનું યોગદાન ઈતિહાસ હંમેશા યાદ રાખશે: PM
PM મોદીએ કહ્યું, 'પશ્ચિમ બંગાળમાં અંદાજે 93% મતદાન થવું, એ પોતાની રીતે જ ઐતિહાસિક રહ્યું છે. આસામ, તમિલનાડુ, પુડુચેરી અને કેરળમાં પણ મતદાનના નવા રેકોર્ડ બન્યા છે. તેમાં પણ મહિલાઓની ભાગીદારી ખૂબ જ વધારે રહી છે. આ ભારતીય લોકશાહીનું સૌથી ઉજ્જવળ ચિત્ર બની રહ્યું છે. હું આજે ચૂંટણી પંચને, ચૂંટણી પંચના તમામ કર્મચારી ભાઈ-બહેનોને, મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ કર્મચારીઓનો અને ખાસ કરીને સુરક્ષા દળોનો પણ ખૂબ ખૂબ અભિનંદન કરું છું. ભારતના લોકતંત્રની ગરિમાને જાળવી રાખવામાં આપ સૌના યોગદાનને ઇતિહાસ હંમેશા યાદ રાખશે.
'લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું': PM
પીએમ મોદીએ કહ્યું, 'લોકશાહીએ આપણા રગોમાં દોડતો સંસ્કાર છે. હું બંગાળ, આસામ, પુડુચેરી, તમિલનાડુ અને કેરળની જનતાને નમન કરું છું. આપણે આખા વિશ્વને બતાવ્યું છે કે આપણું ભારત 'મધર ઓફ ડેમોક્રેસી' (લોકશાહીની જનની) કેમ છે. લોકશાહી એ આપણા રગોમાં દોડતો સંસ્કાર છે, આજે માત્ર લોકશાહી જ નથી જીતી, પરંતુ આપણું બંધારણ પણ જીત્યું છે.'
પહેલી જ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનાને લીલી ઝંડી આપીશું
હું દરેક બંગાળવાસીને ખાતરી આપું છું કે, બંગાળના વિકાસ માટે ભાજપ દિવસ-રાત એક કરી દેશે. બંગાળમાં હવે મહિલાઓને સુરક્ષાનો માહોલ મળશે. યુવાનોને નોકરી મળશે અને અહીંથી યુવાનોનું પલાયન પણ અટકશે. પહેલી જ કેબિનેટમાં આયુષ્માન ભારત યોજનાને પણ લીલી ઝંડી બતાવાશે. એટલું જ નહીં, ઘૂસણખોરો સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરીશું.

