VIDEO: PM હાઉસ પહોંચતા જ કોંગ્રેસ નેતાઓની ધરપકડ! જુઓ વિરોધ પ્રદર્શનના હાઈડ્રામાના Exclusive દ્રશ્યો
દિલ્હીના લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ અટકાયત દરમિયાન પંજાબ કોંગ્રેસ કેમ્પેઈન કમિટીના ચેરમેન ચરણજીત સિંહ ચન્નીએ સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "આ ભાજપનો આતંકવાદ છે. તેઓ વિદ્યાર્થીઓનો અવાજ અને તેમની રજૂઆતો સાંભળવા તૈયાર નથી..."
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, પવન ખેડા અને અન્ય તમામ વરિષ્ઠ કોંગ્રેસ નેતાઓ લોકકલ્યાણ માર્ગ પર એકઠા થઈને વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પર થયેલા એક્શન અને શિક્ષણ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષે સરકાર સામે આક્રમક મોરચો માંડ્યો છે.
પોલીસ અટકાયત દરમિયાન કોંગ્રેસના સંસદસભ્ય (MP) સુખજિંદર સિંહ રંધાવાએ દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સરકાર સામે આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, "જો દેશના સાંસદો સાથે આ પ્રકારનો વ્યવહાર થતો હોય અને આ સ્થિતિ હોય, તો જરા વિચાર કરો કે સામાન્ય વિદ્યાર્થીઓ સાથે દેશમાં શું થઈ રહ્યું હશે..."
ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને શિક્ષણ પ્રણાલી સંબંધિત મુદ્દાઓને લઈને કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતરીને કેન્દ્ર સરકાર સામે ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.
દિલ્હીના લોકકલ્યાણ માર્ગ પર વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ જયરામ રમેશે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવતા ગૃહમંત્રીના નિવેદન અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ દોહરાવી છે.
માધ્યમો સાથેની વાતચીતમાં જયરામ રમેશે જણાવ્યું હતું કે, "અમારી બહુ સાદી માંગણી છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં અમારા વિરોધ પક્ષના નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે. અમારી માંગણી એ છે કે ગૃહમંત્રી પોતે સંસદમાં આવીને આ અંગે સ્પષ્ટતા કરે અને ગૃહમાં આ વિષય પર વિસ્તૃત ચર્ચા થાય."
સરકાર સામે આકરા પ્રહારો કરતા તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "જે રીતે લોકશાહી અને આપણા બંધારણની હત્યા કરવામાં આવી રહી છે તેમજ વિદ્યાર્થીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા છે, તે અંગે ગૃહમંત્રી સંસદમાં નિવેદન આપે તેવી અમારી માંગ છે. આ સાથે જ અમે છેલ્લા ૪૫ દિવસથી શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી પણ કરી રહ્યા છીએ."
ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહી અને પરીક્ષા પ્રણાલીના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દિલ્હીના હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં રસ્તા પર ઉતરીને ભારે વિરોધ નોંધાવી રહ્યા છે.

