VIDEO: આંધ્રપ્રદેશમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવા; 400થી વધુ પંપ ખાલી થતા અફરાતફરી
આંધ્રપ્રદેશમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાને કારણે રાજ્યભરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ગભરાટમાં આવેલા લોકો મોટી માત્રામાં ઈંધણ ખરીદી રહ્યા હોવાથી 400થી વધુ પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટી ગયો છે. માહિતી મુજબ 421 જેટલા પેટ્રોલ પંપો તાત્કાલિક અસરથી બંધ થવાના સમાચાર સામે આવ્યા છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તાત્કાલિક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક સૂચના આપી છે કે કોઈપણ પંપ પર “નો સ્ટોક” બોર્ડ દેખાવું નહીં જોઈએ. જિલ્લા કલેક્ટરોને ટાસ્ક ફોર્સ અને કંટ્રોલ રૂમ સ્થાપિત કરીને સતત દેખરેખ રાખવા આદેશ અપાયા છે. અફવાઓને કારણે લોકો વાહનોમાં ફૂલ ટાંકી સાથે વધારાના કેનમાં પણ ઈંધણ ભરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સરકારે જનતાને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે અને કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

