Delhi Car Blast: વિસ્ફોટ થયેલી કારનું પુલવામા સાથે નીકળ્યું કનેક્શન, સંપૂર્ણ વિગતો જાણો

સોર્સ : gstv
દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાની સામે એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેના પછી નજીકના અનેક વાહનોમાં આગ લાગી ગઈ હતી. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે લગભગ 20 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી વિસ્ફોટ વિશે પૂછપરછ કરી હતી. હાલમાં, પોલીસે સમગ્ર દિલ્હી NCRમાં એલર્ટ જારી કર્યું છે.
તમામ રસ્તાઓ પર ચેકપોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે અને શંકાસ્પદ કારની કડક તપાસ કરવામાં આવી રહી છે. દરમિયાન, જે કારમાં વિસ્ફોટ થયો હતો તેની માહિતી પણ બહાર આવી છે. કારનો રજિસ્ટ્રેશન નંબર હરિયાણાનો છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે કાર બે વાર વેચાઈ ગઈ છે.
સલમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યો
વિસ્ફોટ પછી, પોલીસે કારની વિગતો તપાસતા ખુલાસો થયો કે લાલ કિલ્લાની સામે વિસ્ફોટ થયેલી કાર હ્યુન્ડાઇ i20 હતી. CNG અને પેટ્રોલ બંને એન્જિન ઉપલબ્ધ હતા. વિસ્ફોટ પછી કારના મુખ્ય માલિક, મોહમ્મદ સલમાનને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. મોહમ્મદ સલમાને પોલીસને માહિતી આપી હતી કે તેણે અગાઉ કાર વેચી હતી. કારનો નંબર HR 26 CE 7674 છે. કાર સફેદ રંગની હતી અને 18 માર્ચ, 2014 ના રોજ રજીસ્ટર થઈ હતી.
કાર ઘણી વખત વેચાઈ હતી
સલમાને જણાવ્યું હતું કે તેણે અગાઉ કાર ઓખલાના રહેવાસી દેવેન્દ્ર નામના વ્યક્તિને વેચી હતી. સલમાને વેચાણ સંબંધિત તમામ દસ્તાવેજો પોલીસને સોંપ્યા હતા. પોલીસે દેવેન્દ્રની પૂછપરછ કરતાં, દેવેન્દ્રએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, દેવેન્દ્રએ પોલીસને જણાવ્યું હતું કે તેણે કાર અંબાલામાં કોઈને વેચી હતી.ત્યારબાદ એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે કાર છેલ્લે કાશ્મીરના પુલવામાના તારિક નામના વ્યક્તિને વેચવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કાર ઘણી વખત વેચાઈ અને ખરીદી કરવામાં આવી છે.

