VIDEO: રામ મંદિરને મળશે પ્રથમ CEO! સર્ચ કમિટીએ સોંપ્યો રિપોર્ટ, ટ્રસ્ટની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) ની નિમણૂકને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રામ મંદિર માટે પ્રથમ CEOની પસંદગી કરવા માટે રચાયેલી ત્રણ સભ્યોની સર્ચ કમિટીએ પોતાનો વિસ્તૃત રિપોર્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સુપરત કરી દીધો છે.
આ સર્ચ કમિટીમાં નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ વિષ્ણુ કાંત ચતુર્વેદી, પૂર્વ વૈજ્ઞાનિક સુરેશ હવારે અને પૂર્વ ન્યાયાધીશ પ્રમોદ કોહલીનો સમાવેશ થાય છે. આ કમિટીએ ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ મહારાજ, મહંત દિનેન્દ્ર દાસ, કાર્યકારી જનરલ સેક્રેટરી કૃષ્ણ મોહન અને અયોધ્યાના જિલ્લા મેજિસ્ટ્રેટ શશાંક ત્રિપાઠીની ઉપસ્થિતિમાં આયોજિત બેઠકમાં પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.
આ અંગે માહિતી આપતાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિ જી મહારાજે જણાવ્યું હતું કે, "આ રિપોર્ટ આવતીકાલે યોજાનારી ટ્રસ્ટની બેઠકમાં રજૂ કરવામાં આવશે. મને અપેક્ષા છે કે રામ મંદિરના પ્રથમ CEOના નામની જાહેરાત થઈ શકે છે, પરંતુ અંતિમ નિર્ણય ટ્રસ્ટ કરશે કે નામ જાહેર કરવું કે નહીં."
આવતીકાલે મળનારી ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠકમાં સર્ચ કમિટી દ્વારા શોર્ટલિસ્ટ કરાયેલા નામો પર વિચારણા કરીને રામ મંદિરના વહીવટી સંચાલન માટેના પ્રથમ CEOના નામ પર આખરી મહોર મારવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

