VIDEO: રામ મંદિર ટ્રસ્ટે ક્યારેય ટેક્સ ચોરી કરી નથી, તમામ નિયમોનું પાલન થાય છે: ચંપત રાયનો વધુ એક પત્ર વાયરલ
રામ મંદિરમાં દાનની કથિત ચોરીની ઘટના બાદ રાજીનામું આપી ચૂકેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ અને વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના આંતરરાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ચંપત રાયનો વધુ એક પત્ર વાયરલ થયો છે. આ પત્રમાં તેમણે ટ્રસ્ટની કામગીરી અને નાણાકીય વ્યવસ્થા અંગે માહિતી આપી છે.
ચંપત રાયે દાવો કર્યો છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા ક્યારેય કોઈ ટેક્સની ચોરી કરવામાં આવી નથી અને તમામ વ્યવહારોમાં સરકારી નિયમોનું પાલન કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે ટ્રસ્ટ સાથે જોડાયેલા તમામ સરકારી વિભાગોના ટેક્સ જેવા કે GST, TDS, રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ડ્યૂટી, લેબર સેસ, PF અને ESI સમયસર જમા કરવામાં આવે છે.
ચંપત રાયનો પહેલો પત્ર 7 જુલાઈએ ટ્રસ્ટની બેઠક બાદ સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.
SITએ સરકારને સોંપ્યો અંતિમ રિપોર્ટ
એક દિવસ અગાઉ જ દાનની કથિત ચોરીની તપાસ માટે રચવામાં આવેલી SITએ પોતાનો અંતિમ રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. ત્યારબાદ રિપોર્ટ કાર્યવાહી માટે ટ્રસ્ટને મોકલવામાં આવ્યો છે.
જોકે, હજુ સુધી ટ્રસ્ટ તરફથી કોઈ નવી કાર્યવાહી કરવામાં આવી નથી.
અહેવાલ મુજબ, SITએ ચંપત રાયને ક્લીનચિટ આપી છે અને રિપોર્ટમાં તેમનું નામ નથી. આ પછી ચંપત રાયનો પત્ર વાયરલ થવાથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
તેમને ફરીથી ટ્રસ્ટમાં સામેલ કરવામાં આવશે તેવી ચર્ચા પણ ચાલી રહી છે. ટ્રસ્ટની 2 સપ્ટેમ્બરે બેઠક યોજાવાની છે.
પત્રમાં ચંપત રાયનો દાવો
ચંપત રાયે પત્રમાં મંદિર ઉપરાંત ચાલી રહેલા અન્ય બાંધકામો અને ટ્રસ્ટની નાણાકીય વ્યવસ્થા અંગે પણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું બેંક એકાઉન્ટ ચેકબુક વગરનું છે. તમામ ચુકવણી માત્ર બેંક ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે અને રોકડનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ વ્યવસ્થાથી નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા જળવાઈ રહે છે.
ત્રણ બેંકોમાં ટ્રસ્ટના ખાતા
પત્ર અનુસાર, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના ખાતા ત્રણ બેંકોમાં છે:
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પંજાબ નેશનલ બેંક (PNB)
બેંક ઓફ બરોડા (BOB)
ચંપત રાયના જણાવ્યા અનુસાર, ટ્રસ્ટે બેંકો પાસેથી કોઈ ચેકબુક લીધી નથી અને તમામ ચુકવણી ઓનલાઈન RTGS પદ્ધતિથી કરવામાં આવે છે.
ટ્રસ્ટનું આંતરિક ઓડિટ દિલ્હીની એક ઓડિટ ફર્મ દ્વારા કરવામાં આવે છે. જ્યારે વૈધાનિક ઓડિટ દિલ્હીની બીજી ફર્મ વી. શંકર અય્યર દ્વારા કરવામાં આવે છે.
દરરોજ 75 હજાર શ્રદ્ધાળુઓ છતાં કોઈ દુર્ઘટના નહીં
પૂર્વ મહાસચિવ ચંપત રાયે પત્રમાં દાવો કર્યો છે કે દેશના બહુ ઓછા મંદિરોમાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓને ઓછા સમયમાં આટલી વ્યવસ્થિત રીતે દર્શન કરાવવામાં આવતા હશે.
તેમણે જણાવ્યું કે મંદિરના દરેક બહાર નીકળવાના માર્ગ પર દર્શનાર્થીઓને ભગવાનનો પ્રસાદનું પેકેટ મફતમાં આપવામાં આવે છે.
ચંપત રાયના દાવા પ્રમાણે, દરરોજ લગભગ 75 હજાર શ્રદ્ધાળુઓ રામ મંદિરમાં દર્શન કરવા આવે છે, તેમ છતાં અત્યાર સુધી કોઈ દુર્ઘટના બની નથી. તેમણે આ વ્યવસ્થા માટે પોલીસ અને પ્રશાસનની પ્રશંસા કરી છે.
મંદિરમાં દર્શનાર્થીઓ માટે આઠ અલગ-અલગ લેન બનાવવામાં આવી છે અને આ લેન વચ્ચે ક્રોસિંગ નથી.
તેમણે વધુમાં જણાવ્યું કે યાત્રાળુઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કોઈ ઇચ્છિત સમૂહ રામ મંદિરમાં ધાર્મિક અનુષ્ઠાન અથવા કાર્યક્રમ યોજવા માંગે તો ટ્રસ્ટ દ્વારા તેની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવે છે.

