ભાષા વિવાદને લઈ રાહુલ ગાંધીનો અમિત શાહ પર શાબ્દીક પ્રહાર: જાણો શું કહ્યું

મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પોતપોતાની સ્થાનિક ભાષાને બચાવી રાખવા તેમજ તેની આસપાસ પોતાની ભાષાનું વલણ વધારવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. અને હાલમાં જ્યારે દેશભરમાં હિન્દી અને અન્ય સ્થાનિક ભાષાઓને લઈને વિવાદ વકરી રહ્યો છે. તે સમયે, લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, 'અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા છે અને પ્રગતિ માટે સૌથી મહત્ત્વપૂર્ણ છે. હું એમ નથી કહેતો કે હિન્દી ભાષામાં શિક્ષણ ન લો પણ આપણે અંગ્રેજીના કારણે પ્રગતિ કરી શકીએ છીએ.'
અંગ્રેજી ભાષા પર રાહુલ ગાંધીનુ નિવેદન
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પ્રગતિ માટે શિક્ષણમાં સૌથી મહત્ત્વપૂર્ણ કારણ અંગ્રેજી ભાષાને ગણાવતા કહ્યું, 'ભારતમાં સફળતા અને પ્રગતિનો સૌથી મોટું નિર્ણાયક અંગ્રેજી શિક્ષણ છે. આજે ભારતમાં કોઈપણ પ્રાદેશિક ભાષા અથવા હિન્દીમાં આપવામાં આવતા શિક્ષણ કરતાં અંગ્રેજી શિક્ષણ ઘણું અસરકારક છે. આ એક આશ્ચર્યજનક હકીકત છે. પરંતુ સત્ય છે. હું એમ નથી કહેતો હિન્દી કે પ્રાદેશિક ભાષાઓ મહત્ત્વપૂર્ણ નથી, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ આજે ભારતમાં પ્રગતિ અંગ્રેજી શિક્ષણ દ્વારા નક્કી થઈ રહી છે.'
આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આનો અર્થ એ છે કે આપણે હિન્દી શિક્ષણ, તમિલ શિક્ષણ, કન્નડ શિક્ષણ પૂરું પાડવું પડશે. તેના પછી અંગ્રેજી ભાષાનું સ્થાન હોવું જોઈએ. આ એક વિચિત્ર વાત છે, પણ તે એક ઐતિહાસિક સત્ય છે.'
રાહુલ ગાંધીએ અમિત શાહ પર કર્યો કટાક્ષ
રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ લીધા વિના તેમના પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે કહ્યું હતું કે, 'તમે તે બધા ભાજપના લોકોને પૂછો છો જે કહે છે કે અંગ્રેજી નાબૂદ કરવું જોઈએ, તમારા બાળકો કઈ શાળા કે કોલેજમાં અભ્યાસ કરે છે? જવાબ હંમેશા એ જ રહેશે કે તેઓ અંગ્રેજી માધ્યમની શાળામાં અભ્યાસ કરે છે. તો મારો પ્રશ્ન એ છે કે, ભારતના સૌથી ગરીબ વ્યક્તિને આ તક કેમ ન આપવી જોઈએ?' તેમજ રાહુલે સવાલ ઉઠાવતા કહ્યું કે, દલિત બાળકો, આદિવાસી બાળકો, OBC મહિલાઓને આ તક કેમ ન આપવી જોઈએ?
જાણો અમિત શાહે શું કહ્યું હતું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા જ પોતાની એક સભામાં કહ્યું હતું કે, 'મારા શબ્દો યાદ રાખો કે આપણા જીવનમાં એક એવો સમય આવશે જ્યારે અંગ્રેજી બોલનારાઓ શરમાશે. હવે આવા સમાજનું નિર્માણ દૂર નથી. આપણા દેશની ભાષા અને આપણી સંસ્કૃતિ રત્નો છે અને ભાષાઓ વિના આપણે ભારતીય નથી.'

