VIDEO: વિદ્યાર્થીઓના સમર્થનમાં રાહુલ ગાંધી રસ્તા પર ઉતર્યા, વિપક્ષી સાંસદોને ગાંધી સ્મૃતિ જતા રોકાયા
દેશની રાજધાની દિલ્હીમાં શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ, NEET પેપર લીક અને બેરોજગારી સામે યુવાનો અને વિદ્યાર્થીઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે. જે આંદોલન દિલ્હીથી શરૂ થયું હતું તે હવે મુંબઈ, બેંગલુરુ અને કોલકાતા જેવા દેશના મહાનગરો સુધી પહોંચી ગયું છે. આ પ્રદર્શનમાં સૌથી વધુ ભાગીદારી 'Gen Z'(નવી પેઢીના યુવાનો)ની જોવા મળી રહી છે. પ્રખ્યાત સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની તબિયત લથડતાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, છતાં તેમણે હોસ્પિટલના બિછાનેથી જ ભૂખ હડતાળ ચાલુ રાખી છે અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે. CJP ના સ્થાપક અભિજીત દીપકે સ્પષ્ટપણે જાહેરાત કરી છે કે જ્યાં સુધી માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આ આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે.
"અમે નડ્ડાના દફતરે નહીં જઈએ": CJP ની આકરી શરત અને શુક્રવારે દેશવ્યાપી વિરોધ
કેન્દ્ર સરકાર અને CJP આંદોલનકારીઓ વચ્ચે ગતિરોધ યથાવત છે. એક તરફ સરકાર વાટાઘાટો માટે અપીલ કરી રહી છે, તો બીજી તરફ CJP નેતા આશુતોષ રાંકાએ સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના નિવાસસ્થાને કે મંત્રાલયમાં કોઈ બેઠક થશે નહીં. જો સરકાર વાતચીત કરવા માંગતી હોય તો તેણે જંતર મંતર આવવું પડશે અથવા તો કોઈ તટસ્થ જગ્યા પર બેઠક યોજવી પડશે. - આશુતોષ રાંકા (CJP
CJP દ્વારા શુક્રવારે (24 જુલાઈ) દેશવ્યાપી પ્રદર્શનની હાકલ કરવામાં આવી છે. આ ઉપરાંત, પાર્ટીએ 24 જુલાઈએ કોલકાતામાં વિરોધ પ્રદર્શન કરવા માટે કોલકાતા પોલીસ પાસે પરવાનગી માંગી છે, જોકે હજુ સુધી તેમને પરવાનગી મળી નથી.
રાહુલ ગાંધીના ઘર બહાર RAF તૈનાત, બસ રોકી દેવાઈ
આંદોલનને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. કોંગ્રેસ સહિત સમગ્ર INDIA ગઠબંધને વિદ્યાર્થીઓને ખુલ્લું સમર્થન આપ્યું છે. ગુરુવારે સાંજે 5:00 વાગ્યાથી દિલ્હીમાં રાજકીય નાટક ઝડપથી બદલાયું હતું. રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના જયરામ રમેશ, જેબી માથેર, પરિણીતી શિંદે, શફી પરમ્બિલ, સંજય યાદવ (RJD), પ્રમોદ તિવારી, અખિલેશ પ્રસાદ સિંહ અને ઇમરાન પ્રતાપગઢી સહિતના વરિષ્ઠ વિપક્ષી નેતાઓ પહોંચ્યા હતા.
ખડગેનો કટાક્ષ: કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ બેઠકમાં પહોંચ્યા હતા. જ્યારે તેમને કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કટાક્ષ કરતા કહ્યું, "સાહેબે ચા માટે બોલાવ્યો હતો, એટલે હું ચા પીવા આવ્યો છું."
ગાંધી સ્મૃતિ કૂચની જાહેરાત
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા (X) પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે INDIA ગઠબંધનના સાંસદો શાંતિપૂર્ણ રીતે 'તીસ જાન્યુઆરી માર્ગ' સ્થિત ગાંધી સ્મૃતિ જઈ રહ્યા છે. અમે તે વિદ્યાર્થીઓને શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યા છીએ જેમને અમે ગુમાવ્યા છે—તે બાળકો જેમને NEET પેપર લીક પછી પોતાનો જીવ આપવા માટે મજબૂર થવું પડ્યું. અને અમે તે ઘાયલ વિદ્યાર્થીઓ સાથે ઊભા છીએ જેમને ન્યાય માંગવા બદલ માર મારવામાં આવ્યો. ભારતનો વિદ્યાર્થી એકલો નથી, આખો વિપક્ષ તેમની સાથે છે. - રાહુલ ગાંધી
વિપક્ષી નેતાઓ ભરેલી બસ રાહુલ ગાંધીના નિવાસસ્થાનેથી માત્ર 10 મીટર આગળ વધી ત્યાં જ દિલ્હી પોલીસે રસ્તામાં સફેદ બસ આડી મૂકીને રસ્તો બ્લોક કરી દીધો. વિસ્તારમાં અર્ધસૈનિક દળો અને કમાન્ડો (RAF) તૈનાત કરી દેવાયા છે.
ભાજપનો પલટવાર
કોંગ્રેસ અને વિપક્ષી દળોની આ હિલચાલ સામે ભારતીય જનતા પાર્ટીએ આકરા પ્રહારો કર્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષે ટ્વિટ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું હતું: રાહુલ ગાંધીના ઘરે વધુ એક ડ્રામાબાજી ચાલી રહી છે. બસો આવી રહી છે અને કોંગ્રેસના સાંસદો ત્યાં પહોંચી રહ્યા છે. તેઓ જંતર-મંતર પર થઈ રહેલા વિરોધ પ્રદર્શનોથી દેશનું ધ્યાન હટાવવા માટે આ નાટક કરી રહ્યા છે. આ ડ્રામાબાજીની હોડમાં દેશનું નુકસાન થઈ રહ્યું છે. - બી.એલ. સંતોષ

