VIDEO: ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરોના ‘કટ મની’ નેટવર્ક પર રાઘવ ચડ્ડાનો હુમલો, સંસદમાં ઉઠાવ્યો રેફરલ કમિશનનો ગંભીર મુદ્દો
રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ સંસદમાં ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે ચાલતી કમિશનખોરીનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સદનમાં જણાવ્યું હતું કે, કેટલાક ડોક્ટરો દર્દીઓને ચોક્કસ ડાયગ્નોસ્ટિક સેન્ટર પર જ ટેસ્ટ કરાવવા માટે મોકલે છે જેથી તેમને 'રેફરલ કમિશન' મળી શકે.
રેફરલ ઇન્સેન્ટિવ અને કટ મની ગોઠવણનો ખેલ
રાજ્યસભામાં બોલતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે કેટલાક ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે આ એક અનૌપચારિક વ્યવસ્થા બની ગઈ છે. આ વ્યવસ્થા દર્દીના ઇલાજ માટે નહીં પરંતુ માત્ર તેને રેફર કરીને ડોક્ટરના ખિસ્સામાં ₹3,000 સુધી પહોંચાડવા માટે છે. દેશમાં કમિશનના ચોક્કસ દર અને એજન્ટો દ્વારા આખું સમાંતર ઇન્સેન્ટિવ નેટવર્ક ચાલી રહ્યું છે.
શું હોય છે ડોક્ટરનું રેફરલ કમિશન?
સાંસદે કહ્યું, 'સોફિસ્ટિકેટેડ ભાષામાં આને 'ડોક્ટરનું રેફરલ કમિશન' અને ડાયગ્નોસ્ટિક સેન્ટરના ચોપડે આને 'માર્કેટિંગ એક્સપેન્સ' તરીકે દર્શાવવામાં આવે છે. આ કમિશન સામાન્ય રીતે ટેસ્ટના કુલ ખર્ચના ટકાવારી આધાર પર નક્કી થાય છે અને કેટલીક જગ્યાએ તો ડાયગ્નોસ્ટિક સેન્ટરો ડોક્ટરોને વિદેશ પ્રવાસે પણ મોકલે છે.'
નિયમો હોવા છતાં કમિશનખોરી ચાલુ
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI) ના 2002ના કોડ ઓફ એથિક્સ રેગ્યુલેશન 6.4 હેઠળ આ પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 2023માં નેશનલ મેડિકલ કમિશને પણ 'રેજિસ્ટર્ડ મેડિકલ પ્રાક્ટિશનર રેગ્યુલેશન 2023' હેઠળ 'રેફરલ કમિશન' પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકી 1 થી 3 મહિના સુધીના સસ્પેન્શનની જોગવાઈ કરી છે. મોટા ઉલ્લંઘન પર છેતરપિંડી અને કન્ઝ્યુમર પ્રોટેક્શન હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
દર્દીઓ પર પડે છે બોજ અને વધે છે બિલ
આ કમિશનનો આર્થિક બોજ ડાયગ્નોસ્ટિક સેન્ટરો પોતે નથી ઉઠાવતા, પરંતુ દર્દીના બિલમાં જ ઉમેરી દે છે. 'ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સ' અનુસાર, આ કટ મની પ્રથાના કારણે દર્દીનું કુલ મેડિકલ બિલ 15 થી 20% સુધી વધી જાય છે.
કમિશનખોરી પર રાઘવ ચડ્ડાનું નિવેદન
સદનમાં આ મુદ્દે ભાર મૂકતા સાંસદે કહ્યું કે, 'ડાયગ્નોસ્ટિક સેન્ટર દર્દી મોકલવાના બદલામાં ડોક્ટરોને કમિશન આપે છે. આ પૈસા દર્દીઓની જેબમાંથી લેવામાં આવે છે. તેને મેડિકલ પ્રોફેશનની ભાષામાં રેફરલ કમિશન કહેવામાં આવે છે. આ પ્રેક્ટિસ પર રોક લાગવી જોઈએ.'
અનાવશ્યક ટેસ્ટ અને ગેરરીતિ સામે વિરોધ
સાંસદે સ્પષ્ટતા કરી કે આ વિરોધ ડોક્ટરોની વિરુદ્ધ નથી પરંતુ આ કટ મની સિસ્ટમ સામે છે. દેશમાં ડોક્ટરોને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે અને મોટાભાગના ડોક્ટરો પૂરી નિષ્ઠાથી સેવા આપે છે, પરંતુ કેટલાક ડોક્ટરો આ રેફરલ સિસ્ટમમાં ફસાઈ રહ્યા છે. તેના કારણે બિનજરૂરી મેડિકલ ટેસ્ટ કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.
ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં વધી સમસ્યા
ખાસ કરીને ટિયર-2 અને ટિયર-3 શહેરોમાં આ સિસ્ટમ એક અનૌપચારિક અર્થતંત્ર બની ગઈ છે. રાઘવ ચડ્ડાએ ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચેના આ અયોગ્ય સંબંધો અને કમિશન સિસ્ટમ પર તુરંત રોક લગાવવા માંગ કરી છે.
દર્દીઓ કઈ બાબતોની સાવચેતી રાખે?
રાઘવ ચડ્ડાએ દર્દીઓને પણ કેટલીક બાબતો પર ખાસ ધ્યાન આપવા સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ ડોક્ટર તમને કોઈ ચોક્કસ ડાયગ્નોસ્ટિક સેન્ટર પર જ જવા માટે મજબૂર કરે ત્યારે ચેતી જવું જોઈએ. આ ઉપરાંત, જો તમે અન્ય કોઈ માન્યતા પ્રાપ્ત સેન્ટર કે પેથ લેબમાંથી તપાસ કરાવો અને ડોક્ટર નારાજ થઈ જાય, તો તેને ખતરાની ઘંટી સમજવી. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, જો ડોક્ટરના ક્લિનિકમાં જ ડાયગ્નોસ્ટિક સેન્ટરનું પ્રોમોશનલ મટિરિયલ કે માર્કેટિંગ એક્ઝિક્યુટિવ જોવા મળે, તો દર્દીઓએ આ બાબતની પણ ખાસ નોંધ લેવી જોઈએ.

