સંસદમાં આર-પારના જંગની તૈયારી! કોંગ્રેસે તમામ સાંસદો માટે જારી કર્યો થ્રી-લાઈન વ્હિપ! NDA ના સાંસદોને અચાનક દિલ્હી ન છોડવા આદેશ!

દેશનો મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ, ચોમાસુ સત્ર દરમિયાન સંસદના નીચલા ગૃહ એટલે કે, લોકસભામાં પોતાની પૂરી તાકાત દર્શાવવાની તૈયારી કરી રહ્યો છે. કોંગ્રેસે શુક્રવારે (7 ઓગસ્ટ 2026) પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ (Three-line Whip) જારી કર્યો છે. જે અંતર્ગત પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ગૃહમાં હાજરી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
કોંગ્રેસના ચીફ વ્હિપે જારી કરી નોટિસ
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળ (CPP)ના મુખ્ય સચેતક એટલે કે ચીફ વ્હિપ કોડિકુન્નિલ સુરેશે શુક્રવારે (7 ઓગસ્ટ 2026) પોતાના તમામ લોકસભા સાંસદો માટે થ્રી-લાઇન વ્હિપ જારી કર્યો હતો. જેમાં તેમણે તમામ સાંસદોને નિર્દેશ આપ્યો છે કે, તેઓ સોમવારથી બુધવાર સુધી એટલે કે 10, 11 અને 12 ઓગસ્ટના રોજ સવારે 11 વાગ્યાથી ગૃહમાં અનિવાર્યપણે ઉપસ્થિત રહે. આ સમયગાળા દરમિયાન ગૃહમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે, કોઈ પણ સંજોગોમાં તેમની ગેરહાજરી સ્વીકારવામાં આવશે નહીં.
નોટિસમાં કોંગ્રેસે સાંસદોને શું કહ્યું?
નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, 'લોકસભામાં સોમવાર, મંગળવાર અને બુધવાર એટલે કે 10, 11 અને 12 ઓગસ્ટ 2026 ના રોજ ખૂબ જ મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ ત્રણેય દિવસ સવારે 11 વાગ્યાથી લઈને ગૃહની કાર્યવાહી સ્થગિત થાય ત્યાં સુધી અનિવાર્યપણે ગૃહમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરે અને પાર્ટીના સ્ટેન્ડનું સમર્થન કરે. આને ખૂબ જ મહત્ત્વપૂર્ણ નિર્દેશ માનવામાં આવે.'
NDA સાંસદોને પણ આપવામાં આવ્યા નિર્દેશ
બીજી તરફ, કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના તમામ સાંસદોને પણ સોમવાર (10 ઓગસ્ટ 2026) થી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જ રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
જો કે, આ અંગે હજુ સુધી કોઈ વ્હિપ જારી કરવામાં આવ્યો નથી, પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને ફોરેન કન્ટ્રિબ્યુશન (રેગ્યુલેશન) એમેન્ડમેન્ટ બિલ, એટલે કે FCRA સુધારા બિલને સંસદમાં રજૂ કરવા, તેના પર ચર્ચા કરવા અને તેને સંસદમાંથી પસાર કરાવવાની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે.

