VIDEO: "PM એ કેમેરાનો નહીં, દિલનો એંગલ બદલવો પડશે" પેપર લીક અને વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મુદ્દે પ્રિયંકા ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યા સવાલ
સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જાહેર પરીક્ષા (પેપર લીક વિરોધી) બિલ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વડ્રા એ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ લાઠીચાર્જ, પેપર લીકની ઘટનાઓ અને સરકારની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
"નવી કમિટીઓ બનાવવાથી કંઈ નહીં થાય"
બિલ પર બોલતા પ્રિયંકા ગાંધીએ જણાવ્યું હતું કે, "આપણે આ ગૃહમાં એવા સુધારા પર ચર્ચા કરી રહ્યા છીએ જે 2024માં જ પાસ થઈ ચૂક્યું છે. આ કાયદો બન્યા પછી પણ એક પણ આરોપીને સજા થઈ નથી. વિદ્યાર્થીઓના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે, પરંતુ પેપર લીકના મુખ્ય આરોપીઓ સામે આવી કાર્યવાહી થતી નથી."
તેમણે ઉમેર્યું કે, "વડાપ્રધાને પોતાના સલાહકારો બદલવા જોઈએ. નવી કમિટીઓ બનાવવાથી કામ નહીં ચાલે. રાધાકૃષ્ણન કમિટી બનાવવામાં આવી હતી, જેમાં શિક્ષણનું જ્ઞાન ન ધરાવતા લોકોને પણ સામેલ કરાયા. 'GenZ' અને યુવાનોનો વિશ્વાસ જીતવા માટે નવા નવા એંગલના વિડિયો બનાવવાથી કામ નહીં ચાલે. વડાપ્રધાને કેમેરાનો નહીં, પણ પોતાના દિલનો એંગલ બદલવો પડશે અને જવાબદારી લેવી પડશે."
"દેશમાં સૌથી મોટી ચોરી યુવાનોના સપનાની થઈ"
સરકારની નિષ્ફળતા ગણાવતા તેમણે કહ્યું કે, "પોલીસની લાઠી બાળકોની પીઠ પર નહીં, પરંતુ સરકારની સાખ પર પડી છે. તમારા શાસનમાં અગાઉ પણ ચોરીઓ જોવા મળી છે, પરંતુ સૌથી મોટી ચોરી ત્યારે થઈ જ્યારે દેશના નૌજવાન કૌશલ્યના ભવિષ્ય અને તેમના સપનાઓની ચોરી કરવામાં આવી. જો દેશનો યુવા દેશમાં નિરાશ થશે, તો તે ભારતની હાર હશે."
'કોના આદેશથી પેલેટ ગન અને લાઠીચાર્જ થયો? ગૃહમંત્રી જવાબ આપે'
પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પર થયેલા દમનનો મુદ્દો ઉઠાવતા પ્રિયંકા ગાંધીએ RML હોસ્પિટલની પોતાની મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ભાવુક થઈને કહ્યું કે: "હું RML હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળવા ગઈ હતી. ત્યાં એક બાળકીની માતા પીડાથી ધ્રૂજી રહી હતી અને ન્યાય માટે લડવાની વાત કરતી હતી. હું વડાપ્રધાન અને ગૃહમંત્રીને પૂછવા માગું છું કે યુવાનો પર આંસુ ગેસના સેલ છોડવાની, લાઠીચાર્જ કરવાની અને દીકરીઓ સાથે ગેરવર્તણૂક કરવાની શું જરૂર હતી? શું તે યુવાનો આતંકવાદી હતા? કોંગ્રેસ પક્ષ જ નહીં પરંતુ આખો દેશ પૂછી રહ્યો છે કે વિદ્યાર્થીઓ પર પેલેટ ગન ચલાવવાનો ઓર્ડર કોણે આપ્યો? વડાપ્રધાને કે ગૃહમંત્રીએ? આ સંસદ દેશની અનામત છે, કોઈની જાગીર નથી."

