VIDEO / કુલ્લુમાં ભૂસ્ખલનથી બે મકાનો ધરાશાયી, સાત દટાયા, એકનો મૃતદેહ મળ્યો; બચાવ કામગીરી ચાલુ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના અખાડા બજારમાં ગુરુવારે સવારે લગભગ 6 વાગ્યે ભૂસ્ખલનની દુર્ઘટના બનતા સાતથી આઠ લોકો ભોગ બન્યા હોવાના અહેવાલ છે. ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે સાતથી આઠ લોકો દટાયા છે. માહિતી મળતા જ NDRF ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
બચાવ કામગીરીમાં એક મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહની ઓળખ કંગન શ્રીનગર, મહારાજના રહેવાસી તરીકે થઈ છે. જ્યારે ત્રણ ઘાયલોને બચાવીને પ્રાદેશિક હોસ્પિટલ કુલ્લુ મોકલવામાં આવ્યા છે. કુલ્લુ સદર ધારાસભ્ય સુંદર સિંહ ઠાકુર પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. અન્ય લોકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
ઘર ધરાશાયી થતા લોકો દટાયા
આ ભૂસ્ખલનમાં ઘર ધરાશાયી થતા ઘરમાં છ લોકો દટાયા હોવાની આશંકા છે. હજુ આ આંકડો વધી શકે છે. આ ઈમારતમાં સાથે રહેતા અબ્દુલે જણાવ્યું હતું કે ત્રણ રૂમમાં સાત લોકો રહેતા હતા. એક વ્યક્તિએ કૂદીને પોતાનો જીવ બચાવ્યો. એકનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે પાંચ લોકો હજુ પણ દટાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. આ બધા લોકો જમ્મુ-કાશ્મીરના હોવાનું કહેવાય છે.
વરસાદ બન્યો વિધ્ન
સતત વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. ઘટનાસ્થળે ભારે પોલીસ દળ તૈનાત છે. ડેપ્યુટી કમિશનર કુલ્લુ તોરુ એસ રવિશ, એસડીએમ કુલ્લુ નિશાંત ઠાકુર ઘટનાસ્થળે પહોંચ્યા. આ દુર્ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ થઈ હતી. બશીર અહેમદ બાનીએ જણાવ્યું કે ઘરમાં રહેતા લોકો શુક્રવારે નમાજ અદા કરવા માટે અહીં રોકાયા હતા. તે લોકો જમ્મુ-કાશ્મીરના રહેવાસી છે. તેમાં એક સ્થાનિક મહિલા પણ દટાઈ છે. નોંધનીય છે કે ગઈકાલે અખાડામાં ઘર પર ભૂસ્ખલન થવાને કારણે બે લોકો કાટમાળ નીચે દટાયા હતા. બે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક લોકો અહીં પણ દટાયેલા છે.

