VIDEO : પહેલા શિંદે જૂથ કહેવું પડતું હતું, હવે માત્ર શિવસેના...': કોલ્હાપુરની રેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રીનો હુંકાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભારે ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેના (UBT) માં મોટી બગાવતની અટકળો વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે એક મોટું નિવેદન આપ્યું છે. કોલ્હાપુરમાં આયોજિત એક ધન્યવાદ રેલીને સંબોધિત કરતા અમિત શાહે સ્પષ્ટ કર્યું છે કે હવે કોઈ 'જૂથ કે ગુટ' બચ્યું નથી; પરંતુ એકનાથ શિંદેના નેતૃત્વ વાળી પાર્ટી જ અસલી અને એકમાત્ર શિવસેના છે.
અમિત શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 'ઓપરેશન ટાઈગર' અંતર્ગત ઉદ્ધવ છાવણીના અનેક સાંસદો બળવો કરે તેવી ચર્ચા છે અને પાર્ટી સંપૂર્ણપણે તૂટવાના આરે ઉભેલી દેખાઈ રહી છે.
અમિત શાહે કહ્યું કે, 'પહેલા બોલવું હોય તો શિંદે જૂથ કહેવું પડતું હતું, હવે માત્ર શિવસેના...' કોલ્હાપુરની રેલીમાં અમિત શાહે જણાવ્યું હતું કે, "પહેલા અમારે એકનાથ શિંદેના નામ પર 'શિવસેના શિંદે જૂથ' કહેવું પડતું હતું. પરંતુ હવે કોઈ જૂથ રહ્યું નથી. હવે માત્ર એક જ શિવસેના છે."
આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ કોલ્હાપુરના પ્રખ્યાત માતા અંબાબાઈ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા અંબાબાઈ મંદિર પરિસર અને કોરિડોરના જીર્ણોદ્ધાર તેમજ નવિનીકરણ કાર્યનો શિલાન્યાસ કર્યો હતો. શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન 'વિકાસ પણ, વિરાસત પણ' નો ઉલ્લેખ કરતા કહ્યું કે મહારાષ્ટ્રમાં સાંસ્કૃતિક પુનરુત્થાન થઈ રહ્યું છે. રાજ્યના તમામ જ્યોતિર્લિંગ અને શક્તિપીઠોનો પુનર્વિકાસ કરવામાં આવી રહ્યો છે. જે આપણા બધા માટે ગર્વની વાત છે.
ઓપરેશન ટાઈગર અને બગાવત
અમિત શાહનું આ નિવેદન માત્ર એક રાજકીય ટિપ્પણી નથી, પરંતુ તે ઉદ્ધવ કેમ્પમાં મચેલા ઘમાસાણ સાથે સીધું જોડાયેલું છે. વાસ્તવમાં, 'ઓપરેશન ટાઈગર' ની ચર્ચાઓ વચ્ચે ઉદ્ધવ જૂથના અનેક સાંસદો એકનાથ શિંદેની શિવસેનામાં સામેલ થાય તેવી પ્રબળ શક્યતા છે. સાંસદોના ગાયબ થવા અને બળવાખોર તેવરના કારણે ઉદ્ધવ ઠાકરે સામે મોટું સંકટ ઊભું થયું છે.
ઉદ્ધવ જૂથનો આ આંતરિક કલહ નવી દિલ્હીમાં ત્યારે ખુલ્લો પડી ગયો જ્યારે પાર્ટી નેતૃત્વ દ્વારા બોલાવવામાં આવેલી અનિવાર્ય સંસદીય દળની બેઠકમાંથી મોટાભાગના સાંસદો ગેરહાજર રહ્યા. લોકસભામાં શિવસેના (UBT) ના કુલ 9 સાંસદો છે, પરંતુ વ્હીપ જાહેર કર્યા બાદ યોજાયેલી બેઠકમાં માત્ર 3 સાંસદો (અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે) જ હાજર રહ્યા હતા. જ્યારે બાકીના 6 સાંસદો (નાગેશ આષ્ટીકર, સંજય દેશમુખ, સંજય જાધવ, સંજય દીના પાટીલ, ઓમપ્રકાશ રાજેનિમ્બાલકર અને ભાઉસાહેબ વાકચૌરે) બેઠકથી સંપૂર્ણપણે દૂર રહ્યા હતા, જેના કારણે પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમને ચેતવણી પણ આપવામાં આવી છે.

