VIDEO: સોનમ વાંગચુક કેસમાં નવો વળાંક: પત્ની પહોંચ્યા હાઈકોર્ટ, હોસ્પિટલના રોકાણને ગણાવ્યું 'ગેરકાયદે અટકાયત'
Sonam Wangchuk Safdarjung Hospital Detained 2026 : નીટ (NEET) પેપર લીક કૌભાંડ અને શિક્ષણ ક્ષેત્રે સુધારાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના આંદોલનમાં મોટો વળાંક આવ્યો છે. ઉપવાસના 21મા દિવસે ગઈકાલે વહેલી સવારે પોલીસે અચાનક કાર્યવાહી કરીને વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હવે તેમના પત્ની ગીતાંજલિ આંગમોએ સફદરજંગ હોસ્પિટલ પર સારવારમાં પારદર્શિતાના અભાવનો ગંભીર આક્ષેપ લગાવીને દિલ્હી હાઈકોર્ટમાં તાકીદની સુનાવણી માટે અરજી કરી છે. તેમણે હોસ્પિટલના રોકાણને ‘ગેરકાયદે અટકાયત’ ગણાવીને વાંગચુકને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની મંજૂરી માંગી છે.
મેડિકલ રિપોર્ટના આંકડા છુપાવ્યાનો દાવો
ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને સરકારી હોસ્પિટલ પરથી વિશ્વાસ ઉઠી ગયો હોવાનું જણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે, “હોસ્પિટલે અમને કહ્યું કે વાંગચુકનું પોટેશિયમ લેવલ ઘટીને 2.9 થઈ ગયું છે, જે ચિંતાજનક અને જીવલેણ છે. પરંતુ હોસ્પિટલે તેના હેલ્થ બુલેટિનમાં આ ચોક્કસ આંકડો છુપાવ્યો અને માત્ર ‘પોટેશિયમ લેવલ ઘટી રહ્યું છે’ તેવું લખ્યું. જ્યારે અમે પ્રાઈવેટ લેબોરેટરીમાં તપાસ કરાવી તો પોટેશિયમ 3.5 આવ્યું, જે બિલકુલ નોર્મલ છે.” તેમણે આરોપ લગાવ્યો કે વાંગચુકને ડિસ્ચાર્જ આપવાની કે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાની ના પાડી દેવામાં આવી છે.
હોસ્પિટલ છાવણીમાં ફેરવાઈ, વકીલો પર પણ પ્રતિબંધ
પત્નીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલ પરિસરમાં તેમની અવરજવર પર કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. વાંગચુક જે ફ્લોર પર દાખલ છે ત્યાં 30 જવાનો સહિત હોસ્પિટલમાં 100 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરાયા છે. આથી તેમણે હાઈકોર્ટમાં અરજી કરીને પોતાના વકીલો અને જૂના ડોક્ટરોને વાંગચુકને મળવાની છૂટ આપવા પણ માંગ કરી છે. બીજી તરફ, હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે વાંગચુકની સ્થિતિ સ્થિર છે, શરીરમાં પાણીની અછત (ડીહાઈડ્રેશન) ના લક્ષણો છે અને તેમણે સારવાર લેવાનો ઈન્કાર કર્યો છે.
સોનમ વાંગચુકનો જેલમાંથી ભાવુક સંદેશ
હોસ્પિટલના બિછાનેથી સોનમ વાંગચુકે એક હસ્તલિખિત નોટ મોકલી છે, જેમાં તેમણે નીચે સહી કરીને લખ્યું છે: “સફદરજંગમાં મારી ગેરકાયદે અટકાયતમાંથી, ગીતાંજલિ મારફત મોકલેલ.” આ સંદેશમાં તેમણે દેશવાસીઓને સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર દરમિયાન યોજાનારા સંસદ માર્ચને સફળ બનાવવા અપીલ કરી છે અને તેને દેશની ‘બીજી આઝાદીની લડત’ ગણાવી છે.
હવે પત્ની સંભાળશે સંસદ માર્ચનો મોરચો
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે કોકરોચ જનતા પાર્ટી (CJP) ના બેનર હેઠળ વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાળ પર છે. હાઈકોર્ટે સરકારને વાંગચુકનો જીવ બચાવવા જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યા બાદ પોલીસ તેમને હોસ્પિટલ લઈ ગઈ હતી. અગાઉ લદાખને છઠ્ઠા શેડ્યૂલમાં સામેલ કરવાની માંગ વખતે પણ તેઓ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ લગભગ 6 મહિના જેલમાં વિતાવી ચૂક્યા છે. હવે જ્યારે તેઓ હોસ્પિટલમાં બંધ છે, ત્યારે સોમવારના સંસદ માર્ચની આગેવાની તેમના પત્ની ગીતાંજલિ પોતે સંભાળશે.

