Naveen patnaik : ઓડિશાના પૂર્વ મુખ્યપ્રધાન નવીન પટનાયકની તબિયત કથળતા હોસ્પિટલમાં દાખલ કરાયા

Naveen patnaik : ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી અને બીજુ જનતા દળ (BJD) અધ્યક્ષ નવીન પટનાયકને આજે રવિવારે (17 ઓગસ્ટ) સાંજે 5:15 વાગ્યે ભુવનેશ્વરની SUM અલ્ટીમેટ મેડિકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિહાઇડ્રેશન અને તબિયત સારી ન રહેતી હોવાથી તેમને તાત્કાલિક તબીબી દેખરેખ હેઠળ લાવવામાં આવ્યા હતા. અગાઉ ડૉકટરોની એક ટીમે તેમના નિવાસસ્થાન 'નવીન નિવાસ'ની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ કરી હતી.
ઓડિશાના પૂર્વ CM નવીન પટનાયકની તબિયત બગડી
નવીન પટનાયકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે હોસ્પિટલ દ્વારા જણાવામાં આવ્યું છે કે, 78 વર્ષીય પટનાયકની સ્થિતિ નોર્મલ છે અને ડૉક્ટરની ટીમ તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. નોંધનીય છે કે, નવીન પટનાયકે તાજેતરમાં મુંબઈની એક હોસ્પિટલમાં સર્વાઇકલ આર્થરાઇટિસની સારવાર માટે કરોડરજ્જુની સર્જરી કરાવી હતી. જેમાં 22 જૂને સર્જરી કરવામાં આવી હતી અને તેમને 7 જુલાઈએ રજા આપવામાં આવી હતી. જ્યારે સારવાર બાદ તેઓ 12 જુલાઈએ ભુવનેશ્વર પાછા ફર્યા હતા.
મુંબઈથી પરત ફર્યા બાદ બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર નવીન પટનાયકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોટી સંખ્યામાં BJDના કાર્યકરોએ ધ્વજ લહેરાવીને અને "જય જગન્નાથ" ના નારા લગાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
ઓડિશા વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે નવીન પટનાયક કાર્યરત છે. પટનાયકના મુંબઈના પ્રવાસ દરમિયાન પાર્ટીની જવાબદારી 15 સદસ્યોની BJDની સમિતિએ નીભાવી હતી. નવીન પટનાયકની તબિયતને લઈને પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતામાં ચિંતા જોવા મળી રહી છે. જ્યારે હાલતો એમની તબિયત સારી છે અને ડૉક્ટરની દેખરેખ હેઠળ છે.

