સાંસદ કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ (LAC) ને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું, સરહદ નિર્ધારણ ન હોવું એ જ તણાવનું મુખ્ય કારણ

કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી અને અરુણાચલ પ્રદેશના સાંસદ કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ (LAC) ને લઈને એક મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટપણે સ્વીકાર્યું છે કે અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન બોર્ડર પર સરહદ રેખાંકિત ન હોવાને કારણે સમસ્યા ચોક્કસ છે. જોકે, તેમણે ચીની સેના દ્વારા અરુણાચલ પ્રદેશમાં 60 કિલોમીટર અંદર સુધી ઘૂસણખોરી કરવાના અહેવાલોને તથ્યહીન ગણાવીને ફગાવી દીધા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવી અફવાઓથી ભારતીય સેનાનું મનોબળ તૂટે છે, પરંતુ સરહદી વિસ્તારોમાં ચાઇનીઝ આર્મીની વધેલી ગતિવિધિઓને ગંભીરતાથી લેવી જરૂરી છે.
સરહદ નિર્ધારણ ન હોવું એ જ તણાવનું મુખ્ય કારણ
કિરેન રિજિજૂએ ભારત-ચીન સરહદ વિવાદ વિશે વિગતવાર વાત કરતા જણાવ્યું કે, અરુણાચલ પ્રદેશમાં બંને દેશો વચ્ચે ખૂબ જ લાંબી સીમા છે. પરંતુ જમીન પર બોર્ડર પિલર કે સ્પષ્ટ રેખાંકન (Demarkation) નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તિબ્બત એક અલગ રાષ્ટ્ર હતું ત્યારે પણ ભારત અને તિબ્બત વચ્ચે સરહદનું પરિસીમન થયું નહોતું. તેમણે ઉમેર્યું કે દુર્ગમ અને ઊંચાઈ વાળા વિસ્તારોમાં ગામડાં નથી હોતા, ગામડાં માત્ર ખીણમાં હોય છે. સ્થાનિક લોકો પરંપરાગત રીતે પશુઓ ચરાવવા, શિકાર કરવા કે વેપાર માટે ઉપરના વિસ્તારોમાં જતા હતા. સરહદનું સીમાંકન ન હોવાને કારણે ભારત અને ચીનની સેનાઓ વચ્ચે અવારનવાર તણાવ સર્જાય છે.

