VIDEO: "અહીં ચા-ભજીયાં ખાવા નથી આવતા..." ચાલુ મિટિંગમાં સપા ધારાસભ્ય અને કોંગ્રેસ સાંસદ વચ્ચે બબાલ
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં યોજાયેલી જિલ્લા વિકાસ સમન્વય અને દેખરેખ સમિતિ ('દિશા')ની બેઠકમાં એક અધૂરા નાળાના મુદ્દે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદ અને સમાજવાદી પાર્ટી (સપા)ના ધારાસભ્ય આશુ મલિક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બેઠકમાં સપાના સાંસદ ઇકરા હસન પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, ઇમરાન મસૂદ અને આશુ મલિક વચ્ચે લાંબા સમયથી રાજકીય વર્ચસ્વની લડાઈ ચાલી રહી છે, જે આ સરકારી બેઠકમાં પણ સામે આવી ગઈ હતી.
'ચા-ભજીયાં ખાવા નથી આવતા': સપા ધારાસભ્યનો આક્રોશ
બેઠક દરમિયાન સપા ધારાસભ્ય આશુ મલિકે સ્થાનિક પ્રશ્નો ઉઠાવતા એક નાળાના કામમાં વિલંબ અંગે પ્રશાસનની કામગીરી સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે અધિકારીઓને કહ્યું કે, 'અહીં ખોટી માહિતી કેમ આપવામાં આવી રહી છે? અમે અહીં જનતાના કામ માટે આવીએ છીએ, કોઈ ચા-ભજીયાં ખાવા નથી આવતા. જવાબ સાચો મળવો જોઈએ.' નાળાના નિર્માણમાં ગ્રામ પંચાયત અને પ્રધાન-પ્રમુખ વચ્ચેના વિવાદ અને ભંડોળની અછતનો ઉલ્લેખ કરીને તેમણે અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો.
'નિયમમાં રહો, અધ્યક્ષની પરવાનગી લો': સાંસદ મસૂદનો પલટવાર
આશુ મલિક અધિકારીઓ પર સવાલો કરી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે તેમને વચ્ચે અટકાવતા કહ્યું કે, 'બીજા લોકોને પણ બોલવાનો મોકો મળવો જોઈએ, તમારે ચેર (અધ્યક્ષ)ની પરવાનગી લેવી પડશે. તમને ચા-ભજીયાં કોણ ખવડાવી રહ્યું છે? તમે નિયમમાં રહીને વાત કરો. આ રીતે કોઈના પર પણ ખોટી માહિતી આપવાનો આરોપ ન લગાવી શકો.' જેના જવાબમાં આશુ મલિકે કહ્યું હતું કે, 'જ્યારે સવાલ મારો છે તો વચ્ચે બોલવાનો શું મતલબ? આ 'દિશા'ની બેઠક છે અને નિયમો મુજબ જ ચાલશે.'
જૂની રાજકીય દુશ્મનાવટ અને વાઇરલ વીડિયો
ઇમરાન મસૂદ અને આશુ મલિક વચ્ચેનો આ તણાવ નવો નથી. છેલ્લા બે વર્ષથી બંને નેતાઓ વચ્ચે અનેક મુદ્દાઓને લઈને જાહેરમાં મતભેદો સામે આવતા રહ્યા છે. આ બેઠક આશરે ચાર કલાક સુધી ચાલી હતી અને વહીવટીતંત્ર દ્વારા આખી કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું. હવે આ બોલાચાલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. જોકે, ઘટના બાદ બંનેમાંથી કોઈ પણ નેતા તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી.
'વંદે માતરમ' મુદ્દે પણ ઇમરાન મસૂદનું વિવાદિત નિવેદન
બીજી તરફ, 'વંદે માતરમ' ગીતને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ સાંસદ ઇમરાન મસૂદે ફરી એકવાર ચર્ચા જગાવી છે. તેમણે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ રાષ્ટ્રીય ગાનનું સન્માન કરે છે અને તેના માનમાં ઊભા પણ રહેશે, પરંતુ તેઓ આ રાષ્ટ્રીય ગાન ગાશે નહીં. મસૂદે આ નિર્ણય પાછળ પોતાના ધાર્મિક વિશ્વાસ અને બંધારણ દ્વારા મળેલા મૌલિક અધિકારોનું કારણ આપ્યું હતું.

