VIDEO: '20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જવાબદાર કોણ?' NEET પરીક્ષા વિવાદ વચ્ચે રાજ ઠાકરેની પત્ની શર્મિલા ઠાકરેના વેધક સવાલ
દેશભરમાં ગરમાયેલા NEET પરીક્ષા વિવાદ વચ્ચે હવે રાજકીય અને સામાજિક નેતાઓના આકરા પ્રહારો સતત સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરેના પત્ની શર્મિલા ઠાકરેએ NEET ગડબડ મામલે અત્યંત આકરું વલણ અપનાવતાં દોષિતો સામે કડક કાર્યવાહી અને જવાબદારોના રાજીનામાની માંગ કરી છે.
'20થી વધુ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જવાબદાર કોણ?'
વિદ્યાર્થીઓ અને વાલીઓ મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે તેમને સમર્થન આપવા પહોંચેલા શર્મિલા ઠાકરેએ માધ્યમો સાથે વાતચીતમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, "અમને હવે માત્ર આશ્વાસન નહીં પણ રાજીનામું જોઈએ છે. પરીક્ષામાં થયેલી ગડબડ અને માનસિક ત્રાસના કારણે 20 થી વધુ નિર્દોષ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી છે. માસૂમ બાળકોને જે ઊંડા ઘા વાગ્યા છે અને જે જીવન હોમાઈ ગયા છે, તેની ભરપાઈ કોણ કરશે?"
'પૈસાથી વિદ્યાર્થીઓના મોત અને દર્દની ભરપાઈ ન થઈ શકે'
તંત્ર સામે કડક સવાલો ઉઠાવતા તેમણે વધુમાં ઉમેર્યું કે, "સરકાર કે સંસ્થા ગમે તેટલા નાણાકીય વળતર કે દાવાની વાતો કરે, પરંતુ પૈસા ક્યારેય પણ આ વિદ્યાર્થીઓના મનમાં પડેલા ઘા અને તેમના મોતના દર્દને ચૂકવી શકતા નથી. આ લાખો બાળકોના ભવિષ્ય સાથે થયેલી ક્રૂર રમત છે."
હાલમાં NEET પેપર લીક અને ગડબડના વિરોધમાં દેશભરમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે શર્મિલા ઠાકરેના આ નિવેદનથી આ મુદ્દે રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.

