Auto/ પેટ્રોલમાં 20%થી વધુ ઇથેનોલ બ્લેન્ડિંગ પર મોદી સરકારે કરી સ્પષ્ટતા, સારા ફ્યુઅલને લઈને કર્યો દાવો!

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાને લઈને દેશભરમાં અસંતોષ ફેલાયેલો છે, ત્યારે હવે નરેન્દ્ર મોદી સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર સંસદમાં પોતાનો પક્ષ મૂક્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલમાં 20 ટકાથી વધુ ઇથેનોલ ભેળવવા અંગે હાલમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વાસ્તવમાં, છેલ્લા કેટલાક સમયથી E20 ફ્યુઅલ અને તેમાં ઇથેનોલનું પ્રમાણ વધારવાના કથિત સરકારી પ્રયાસોને લઈને ભારે હોબાળો મચ્યો હતો, જે બાદ સરકારે E25 કે E30નો વિચાર પડતો મૂક્યો હતો.
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રીએ રજૂ કરી બાબતો
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપીએ લોકસભામાં લેખિત જવાબ આપતા આ માહિતી આપી હતી કે ભવિષ્યમાં કોઈ પણ ફેરફાર કરતા પહેલા વ્યાપક વૈજ્ઞાનિક અભ્યાસ અને સંબંધિત પક્ષો સાથે ચર્ચા કરવામાં આવશે. સરકારનું આ નિવેદન એ ચર્ચાઓ વચ્ચે આવ્યું છે, જેમાં ઇથેનોલ મિશ્રણને વધુ આગળ વધારવાની વાત કહેવામાં આવી રહી હતી. આ ઉપરાંત, સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે E85 ફ્યુઅલ માત્ર ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ફ્લેક્સ ફ્યુઅલ વાહનો માટે જ છે.
ખાસ વાહનો માટે જ E85 ફ્યુઅલ
પેટ્રોલમાં ઇથેનોલ બ્લેન્ડિંગ અંગે સરકારે સ્પષ્ટ કર્યું છે કે E85 ફ્યુઅલ (85 ટકા ઇથેનોલ અને 15% પેટ્રોલ) માત્ર ફ્લેક્સ ફ્યુઅલ વ્હીકલ્સ (FFV) માટે શરૂ કરવામાં આવ્યું છે, જે ખાસ કરીને તેના માટે જ ડિઝાઇન કરાયા છે. તેનો હેતુ દેશભરમાં સામાન્ય પેટ્રોલની ઇથેનોલ બ્લેન્ડિંગ મર્યાદાને 20 ટકાથી આગળ વધારવાનો બિલકુલ નથી. ભારતમાં ઇથેનોલ-બ્લેન્ડેડ પેટ્રોલ (EBP) કાર્યક્રમને નીતિ આયોગ, ARAI, SIAM અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મળીને તબક્કાવાર અને વૈજ્ઞાનિક રીતે લાગુ કરવામાં આવ્યો છે.
લાંબા સમયથી ચાલી રહ્યા છે ઇથેનોલ મિશ્રિત ફ્યુઅલ...
સાઇન્ટિફિક સ્ટડી અને ફીલ્ડ વેરિફિકેશન અનુસાર, નિર્ધારિત ધોરણો હેઠળ ઉપયોગ કરવા પર E20 પેટ્રોલ એક સુરક્ષિત અને તકનીકી રીતે ઉત્તમ બળતણ છે. દેશમાં E15+ બ્લેન્ડનો ઉપયોગ 3.5 વર્ષથી અને E19-E20 ફ્યુઅલનો ઉપયોગ અઢી વર્ષથી વધુ સમયથી થઈ રહ્યો છે. આ દરમિયાન કરોડો ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો આના પર ચાલી ચૂક્યા છે, પરંતુ ઇથેનોલના કારણે મોટા પાયે એન્જિન ખરાબ થવાનો કે અસામાન્ય કાટ લાગવાનો કોઈ ચકાસાયેલો કિસ્સો સામે આવ્યો નથી.
E20 ફ્યુઅલના ઘણા બધા ફાયદા
મોદી સરકારના મંત્રીના જણાવ્યા અનુસાર, વાહન ઉત્પાદકો અને સર્વિસ રેકોર્ડના આંકડા પરથી પણ એ વાતની પુષ્ટિ થઈ છે કે E20નો ઉપયોગ કરતા વાહનોમાં નુકસાનનો દર વધુ જોવા મળ્યો નથી અને કંપનીઓ આ વાહનો પર સામાન્ય રીતે વોરંટી પણ આપી રહી છે. આ ઉપરાંત, નીતિ આયોગ, IOC અને અન્ય સંશોધન સંસ્થાઓના પરીક્ષણોથી એ સાબિત થયું છે કે E20 ફ્યુઅલ એન્જિનમાં ટેકનિકલ સુસંગતતાને લગતી કોઈ સમસ્યા ઉભી કરતું નથી, પરંતુ તેનાથી બહેતર એન્ટી-નોક ક્ષમતા અને સ્મૂધ પર્ફોર્મન્સ મળે છે.
માઇલેજ અંગે શું જણાવાયું
માઇલેજ અંગે સરકારે જણાવ્યું કે કેટલીક જૂની E10-કમ્પ્લાયન્ટ ગાડીઓમાં માઇલેજ 3થી 5 ટકા સુધી ઘટી શકે છે, પરંતુ E20થી હાઇ ઓક્ટેન રેટિંગ અને ઓછું કાર્બન ઉત્સર્જન જેવા મોટા ફાયદા મળે છે. આ ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલ પ્રોગ્રામ દ્વારા દેશને અત્યાર સુધીમાં 1.97 લાખ કરોડ રૂપિયાથી વધુનું વિદેશી હૂંડિયામણ બચ્યું છે, કાચા તેલની આયાત ઘટી છે અને ખેડૂતોને 1.66 લાખ કરોડ રૂપિયાથી વધુ ચુકવવામાં આવ્યા છે.

