VIDEO: 'મને ધક્કો માર્યો', હાર બાદ મતગણતરી કેન્દ્ર પર મમતા બેનરજીનો ભાજપ પર ગંભીર આક્ષેપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસને પછાળી ભાજપે પ્રચંડ જીત મેળવી છે, તો ભવાનીપુર બેઠક પરથી ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારી સામે મમતા બેનરજીની કારમી હાર થઈ છે. આ હારની નારાજ થયેલા મમતા બેનરજીએ ભાજપ પર મત લૂંટવાનો આક્ષેપ કર્યો છે. મમતા ભવાનીપુર મતગણતરી કેન્દ્રમાં અનેક કલાકો સુધી રહ્યા બાદ બહાર આવ્યા હતા અને પછી ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
ભવાનીપુર મતગણતરી કેન્દ્ર પર સર્જાઇ તંગદિલી
ભવાનીપુર મતગણતરી કેન્દ્રમાં કલાકો સુધી અંદર રહ્યા બાદ જ્યારે મમતા બેનર્જી બહાર નીકળ્યા, ત્યારે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. ભાજપ કાર્યકરોની નારેબાજી અને હારના આઘાત વચ્ચે મમતાએ આક્રમક તેવર બતાવતા કહ્યું કે, ‘ભાજપના કાર્યકરો ટીએમસીના લોકોને માર મારી રહ્યા છે અને આ લોકશાહીની હત્યા છે. મને પણ ધક્કો મારવામાં આવ્યા. અમે બંગાળ ચૂંટણી પંચને અનેક વખત ફરિયાદ કરી, પરંતુ તેમણ કોઈ કાર્યવાહી ન કરી.’
ભાજપે 100થી વધુ બેઠકો પર વોટની ચોરી કરી : મમતાનો આક્ષેપ
હારથી નારાજ મમતાએ ચૂંટણી પરિણામોને પડકારતા કહ્યું કે, ભાજપે 100થી વધુ બેઠકો પર વોટની ચોરી કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે, ‘ચૂંટણી પંચે વડાપ્રધાન, ગૃહમંત્રી અને કેન્દ્રીય દળો સાથે મળીને જે કર્યું છે તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. રાઉન્ડની ગણતરીમાં મોટી છેતરપિંડી થઈ છે. હું જીતી રહી હતી, પરંતુ આંકડા સાથે રમત રમાઈ છે. અમે ભવાનીપુર બેઠક પર ફરીથી કાઉન્ટિંગની માંગણી કરીએ છીએ.’
બંગાળમાં 15 વર્ષના શાસનનો અંત
એકતરફ મમતા બેનર્જીના આક્ષેપો છે, તો બીજી તરફ પરિણામોમાં ભાજપનો વિજયી થયો છે. 293 બેઠકોમાંથી ભાજપે 147ના બહુમતીના આંકડાને કુદાવીને 170થી વધુ બેઠકો પર મજબૂત પકડ બનાવી છે. ભાજપ અત્યાર સુધીમાં 127 બેઠકો જીતી ચૂક્યું છે અને 80 પર આગળ છે. તેની સામે ટીએમસી 48 બેઠકો જીતીને માત્ર 32 બેઠકો પર આગળ છે.
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુની જીત
સૌથી મોટો ઉલટફેર મમતા બેનર્જીની પોતાની બેઠક ભવાનીપુરમાં થયો છે, જ્યાં તેમના પૂર્વ સાથી અને હવે ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ 15,114 મતોથી જીત મેળવીને મમતાના અભેદ કિલ્લાને તોડી પાડ્યો છે. સિંગુર આંદોલનથી જે સત્તાની શરૂઆત થઈ હતી, તેનો અંત આજે ભારે આક્ષેપો અને આક્રોશ વચ્ચે ભવાનીપુરમાં પરાજય સાથે થયો હોય તેમ દેખાઈ રહ્યું છે.

