મમતા બેનરજીને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો, વિપક્ષ નેતા મુદ્દે સ્પીકરના નિર્ણય પર સ્ટે આપવાનો ઈનકાર

પશ્ચિમ બંગાળમાંથી સત્તા ગુમાવ્યા બાદ TMCના વડા મમતા બેનરજી એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે હવે વિપક્ષના નેતાના પદના ચાલી રહેલા વિવાદ મુદ્દે હાઈકોર્ટે મમતા બેનરજીને મોટો ઝટકો આપ્યો છે. વિધાનસભામાં વિપક્ષના નેતાના પદને ચાલી રહેલા વિવાદ મામલે કોલકાતા હાઈકોર્ટે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તાત્કાલિક રાહત આપવાનો ઈનકાર કર્યો છે. કોર્ટે હાલ માટે વિપક્ષના નેતાની નિમણૂક પર કોઈ રોક લગાવી નથી. તેથી ઋતબ્રત બેનર્જી હાલ વિપક્ષના નેતા તરીકે યથાવત રહેશે.
શું છે સમગ્ર મામલો?
વિધાનસભામાં સત્તાધારી પક્ષની સાથે વિપક્ષનો પણ એક મુખ્ય નેતા હોય છે, જેને વિપક્ષના નેતા (Leader Of Opposition - LoP) કહેવામાં આવે છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના સ્પીકર રથીન્દ્રનાથ બોઝે તાજેતરમાં ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી. ઋતબ્રત બેનર્જી (Ritabrata Banerjee) અગાઉ TMC સાથે જોડાયેલા હતા, પરંતુ ચૂંટણીમાં પાર્ટીની હાર બાદ તેમણે પોતાની જ પાર્ટી સામે બળવો કર્યો હતો. ત્યારબાદ સ્પીકરે તેમને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપી હતી.
TMCએ કેમ કર્યો વિરોધ?
TMCનું કહેવું છે કે, વિપક્ષના નેતાની પસંદગી માત્ર સ્પીકરની ઈચ્છા મુજબ થઈ શકતી નથી. વિધાનસભામાં કઈ પાર્ટી મુખ્ય વિપક્ષ છે અને તેની પાસે કેટલા ધારાસભ્યો છે તે પણ ધ્યાનમાં લેવું જરૂરી છે. પાર્ટીનો આરોપ છે કે એક બળવાખોર નેતાને આ મહત્વનું પદ આપીને વિધાનસભાની પરંપરાઓ અને રાજકીય સંતુલનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
હાઈકોર્ટે શું કહ્યું?
ગુરુવારે થયેલી સુનાવણી દરમિયાન TMCએ સ્પીકરના નિર્ણય પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરી હતી. જો કે હાઈકોર્ટે આ માંગ સ્વીકારી નથી અને કોઈ સ્ટે ઓર્ડર આપ્યો નથી. તેના કારણે ઋતબ્રત બેનર્જી હાલ વિપક્ષના નેતા તરીકે કાર્ય કરતા રહેશે. જોકે મામલો હજુ કોર્ટમાં ચાલુ છે. હવે આ કેસની આગામી સુનાવણી 16 જૂને થશે, જ્યાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટ આગળનો નિર્ણય લઈ શકે છે.

