VIDEO: બદ્રીનાથ દાન ચોરી કેસમાં મોટી કાર્યવાહી: પુરાવા મળતા જ અધ્યક્ષના પર્સનલ સેક્રેટરી સસ્પેન્ડ
બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની ચોરીના મામલે સત્તાવાળાઓ દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. મંદિર સમિતિ દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર, ગત ૨ જુલાઈ 2026ના રોજ મંદિર પરિસરમાં લગાવેલા સીસીટીવી (CCTV) કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રમોદ નૌટિયાલે થાળીમાં આવેલા દાનની ગણતરી કરતી વખતે સામાન્ય ગણતરી સિવાય કેટલીક વસ્તુઓ પોતાના મોબાઈલ સાથે છુપાવીને પોતાની પાસે રાખી લીધી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
મંદિર સમિતિએ આ ફૂટેજ અને પુરાવાઓના આધારે આરોપી પ્રમોદ નૌટિયાલ પાસે ૪૮ કલાકની અંદર લેખિતમાં સ્પષ્ટતા માંગી છે કે તેણે પોતાની પાસે શું રાખ્યું હતું.
કાનૂની કાર્યવાહીનું અલ્ટીમેટમ
સમિતિના જણાવ્યા અનુસાર, આ કૃત્ય દાનની સામાન્ય ગણતરી પ્રક્રિયાના નિયમોની બિલકુલ વિરુદ્ધ છે. સમિતિએ પ્રમોદ નૌટિયાલને ચેતવણી આપી છે કે જો તેઓ નિર્ધારિત સમયમાં સંતોષકારક જવાબ નહીં આપે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ધામી એક્શન મોડમાં
આ મામલે ઉત્તરાખંડ સરકાર પણ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના આદેશ બાદ આ સમગ્ર મામલાની તપાસ ગઢવાલના કમિશનર આનંદ સ્વરૂપને સોંપવામાં આવી શકે છે, જે અંગે ટૂંક સમયમાં સત્તાવાર આદેશ જાહેર થશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, કમિશનરની અધ્યક્ષતામાં એક હાઈ-લેવલ તપાસ સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિમાં ચમોલીના પૂર્વ કલેક્ટર અને વર્તમાન MD (GMVN) આઈએએસ (IAS) અધિકારી સંદીપ તિવારીને પણ સામેલ કરવામાં આવી શકે છે. તેમની પ્રમાણિક છબીને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપાઈ રહી છે. તેમના સિવાય નેશનલ હેલ્થ મિશનના ફાઇનાન્સ કંટ્રોલર જગત ચૌહાણ પણ આ સમિતિના સભ્ય બની શકે છે.
હિન્દુ સંગઠનોના આરોપો બાદ તપાસ શરૂ થઈ
ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈએ એક હિન્દુ સંગઠન દ્વારા બદ્રીનાથ મંદિરમાં ચઢાવાની ચોરી થઈ હોવાના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. BKTCના અધ્યક્ષે અગાઉ જ આ મામલે 4 સભ્યોની સમિતિ બનાવી હતી, જે પ્રાથમિક તપાસ માટે બદ્રીનાથ મંદિર પહોંચી ગઈ છે. આ સમિતિની શરૂઆતી તપાસ બાદ, સરકાર દ્વારા ગઠિત થનારી નવી સમિતિ આ મામલાની ઊંડાણપૂર્વક અને વિગતવાર તપાસ આગળ ધપાવશે.

