તમિલનાડુના CM વિજયને મદ્રાસ હાઇકોર્ટનો મોટો આંચકો: કરૂર મશાલ રેલી દુર્ઘટનાના પીડિતોને સરકારી નોકરી આપવાનો નિર્ણય રદ

તમિલનાડુ વેત્રી કઝગમ (TVK)ના પ્રમુખ અને અભિનેતા વિજય માટે રાજકીય મોરચે મોટો આંચકો સામે આવ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે TVK સરકારના એ આદેશને સંપૂર્ણપણે રદ કરી દીધો છે, જેમાં કરૂર ખાતે થયેલી ભયાનક ભગદોડમાં જીવ ગુમાવનારા 41 લોકોના પરિજનોને અનુકંપાના ધોરણે સરકારી નોકરી આપવાનો નિર્ણય લેવાયો હતો. હાઈકોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, સરકારનો આ આદેશ બંધારણના અનુચ્છેદ 14 અને 16નું સીધું ઉલ્લંઘન કરે છે, અને આનાથી ભવિષ્યમાં અયોગ્ય માંગણીઓની ખોટી પરંપરા શરૂ થશે.
'જો મનમાનીની છૂટ અપાઈ તો અરાજકતા ફેલાશે' : હાઇકોર્ટ
હાઇકોર્ટે કડક ટિપ્પણી કરતા જણાવ્યું કે, કારોબારીની સત્તા બંધારણીય મર્યાદામાં જ રહેવી જોઈએ. જો નિર્ણય લેવામાં કોઈ નિયંત્રણ નહીં રહે, તો ચારેય તરફ અરાજકતા ફેલાશે. સરકારી નોકરીઓ રાજ્ય દ્વારા આ રીતે વહેંચી શકાય નહીં, તેના પર યોગ્યતા ધરાવતા અને વર્ષોથી રાહ જોઈ રહેલા લાખો યુવાનોનો હક છે.
શું હતી સમગ્ર ઘટના?
ગયા વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ TVK પ્રમુખ વિજયની કરૂર ખાતે યોજાયેલી રેલી દરમિયાન અફરાતફરી મચતા ભયાનક ભગદોડ સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં 41 લોકોના કરૂણ મોત થયા હતા, અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ કેસની નિષ્પક્ષ તપાસ માટે સુપ્રીમ કોર્ટે ઓક્ટોબર 2025માં કેસની તપાસ સીબીઆઈ (CBI)ને સોંપી હતી. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રિટાયર્ડ જસ્ટિસ અજય રસ્તોગીની અધ્યક્ષતામાં એક સમિતિ પણ બનાવી છે, જે આ તપાસની દેખરેખ રાખી રહી છે.

