Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 'Losing the fight for democracy SO there is a conspiracy to incite violence', Piyush Goyal

'લોકશાહીની લડાઈમાં હાર્યા એટલે વિદેશી શક્તિઓની મદદથી દેશમાં હિંસા ભડકાવવાનું કાવતરું', પીયૂષ ગોયલનો કોંગ્રેસ પર ગંભીર આરોપ

Timeછેલ્લું અપડેટ : 24 May 2026
લાઇવ ટીવીGoogle News
'લોકશાહીની લડાઈમાં હાર્યા એટલે વિદેશી શક્તિઓની મદદથી દેશમાં હિંસા ભડકાવવાનું કાવતરું', પીયૂષ ગોયલનો કોંગ્રેસ પર ગંભીર આરોપ
સોર્સ : GSTV

Modi Govt Will Fall in a Year: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં પક્ષની લઘુમતી સલાહકાર સમિતિની બેઠક દરમિયાન એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે, દેશમાં વધી રહેલા આર્થિક અસંતોષને કારણે 'મોદી સરકાર આગામી એક વર્ષમાં પડી જશે.' રાહુલ ગાંધીના આ નિવેદન બાદ દેશના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપે કોંગ્રેસ પર આકરા પ્રહારો શરૂ કર્યા છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને ભાજપના સાંસદ સંબિત પાત્રાએ આ નિવેદનને દેશ વિરુદ્ધનું એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે.

App Store

પીયૂષ ગોયલે લગાવ્યો દેશને અસ્થિર કરવાનો આરોપ

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર રાહુલ ગાંધી અને વિપક્ષી પાર્ટીઓ પર આકરો હુમલો કર્યો હતો. તેમણે લખ્યું કે, રાહુલ ગાંધીનું આ નિવેદન કોંગ્રેસ, તમામ વિપક્ષી પક્ષો અને ભારતને અસ્થિર કરવાનું સપનું જોતી 'ટૂલકીટ ગેંગ' દ્વારા દેશ વિરુદ્ધ રચવામાં આવેલા એક મોટા કાવતરા તરફ ઈશારો કરે છે. આ કોઈ સામાન્ય નિવેદન નથી, પરંતુ દેશમાં અરાજકતા ફેલાવવાનું ગંભીર ષડયંત્ર છે. જ્યારે રાહુલ ગાંધી અને તેમની મંડળીને સમજાયું કે તેઓ પીએમ મોદીને લોકોના દિલમાંથી હટાવી શકતા નથી અને લોકશાહીની સીધી લડાઈમાં ભાજપને હરાવી શકતા નથી, ત્યારે હવે તેઓ દેશભરમાં હિંસા ભડકાવવા માંગે છે.

વિદેશી શક્તિઓની મદદ લેવાના આક્ષેપો

પીયૂષ ગોયલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, વિપક્ષી નેતાઓ ભારત પ્રત્યે એટલી નફરત ધરાવે છે કે તેઓ દેશમાં કંઈપણ સારું થતું જોઈ શકતા નથી. દેશને બદનામ કરવો, બંધારણીય સંસ્થાઓનું અપમાન કરવું અને વિદેશ જઈને ભારતના આંતરિક મામલામાં દખલ કરવા માટે વિદેશી શક્તિઓને અપીલ કરવી – આ બધું કોંગ્રેસના અસલી ઈરાદાઓને જાહેર કરે છે. દેશની જનતા સમજદાર છે અને તે વિપક્ષ તથા ટૂલકીટ ગેંગના કાવતરાંને સારી રીતે સમજે છે. ભારતને સળગાવવાનું 'INDI' ગઠબંધનનું ષડયંત્ર ક્યારેય સફળ નહીં થાય.

સંબિત પાત્રાએ જૂના નિવેદનો યાદ અપાવ્યા

બીજી તરફ, ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પણ રાહુલ ગાંધી પર તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે તેમણે આવી ટિપ્પણી કરી હોય. વર્ષ 2019માં પણ તેમણે કહ્યું હતું કે એવો સમય આવશે જ્યારે લોકો રસ્તા પર ઉતરી આવશે અને પીએમ મોદીને લાકડીઓથી મારશે. સંબિત પાત્રાએ યાદ અપાવ્યું કે જ્યારે સંસદમાં આ વાત કહેવામાં આવી હતી, ત્યારે પીએમ મોદીએ ખૂબ જ શાંતિથી જવાબ આપતા કહ્યું હતું કે હું વધુ યોગ અને પ્રાણાયામ કરીશ જેથી આવી બાબતોનો સામનો કરવા માટે મારી પીઠ વધુ મજબૂત બને.

લઘુમતી સમુદાય સુધી પહોંચવા પર કોંગ્રેસનો ભાર

આ જ બેઠક દરમિયાન કોંગ્રેસના નેતા ઈમરાન મસુદે પણ પક્ષની રણનીતિ અંગે વાત કરી હતી. તેમણે આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય ચર્ચા બદલવા પર ભાર મૂક્યો હતો. મસુદે જણાવ્યું હતું કે, પાર્ટીએ મુસ્લિમ સમુદાય સુધી પહોંચવાની પોતાની પદ્ધતિને નવું સ્વરૂપ આપવાની જરૂર છે અને દેશના વિકાસમાં તેમના યોગદાનને વધુ સારી રીતે હાઈલાઈટ કરવું જોઈએ.