VIDEO: જુઓ પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રાનું LIVE પ્રસારણ: 3 ભવ્ય રથ તૈયાર, લાખો ભક્તો ઉમટશે, 14,000 જવાનો અને ડ્રોનથી રખાશે નજર!
ઓડિશાના દરિયાકાંઠાના શહેર પુરીમાં આજથી શરૂ થઈ રહેલી વાર્ષિક રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના ત્રણ ભવ્ય રથ ચુસ્ત સુરક્ષા વચ્ચે ગ્રાન્ડ રોડ પર નીકળવા માટે તૈયાર છે. સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય સશસ્ત્ર દળોની ૧૫ કંપનીઓ સહિત અંદાજે ૧૪,૦૦૦ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.
શ્રી જગન્નાથ મંદિર વહીવટીતંત્ર (SJTA)ના એક અધિકારીએ જાહેરાત કરી કે ત્રણેય રથો (ભગવાન બલભદ્રનો તાલધ્વજ, દેવી સુભદ્રાનો દર્પદલન અને ભગવાન જગન્નાથનો નંદીઘોષ)નું નિર્માણ અને શણગાર પૂર્ણ થઈ ગયું છે. ભગવાન પાસેથી આજ્ઞામાળા મળ્યા બાદ આ રથોને ૧૨મી સદીના આ મંદિરના સિંહદ્વાર સુધી લાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે મંદિરની સામે ગ્રાન્ડ રોડ પર ચુસ્ત સુરક્ષા વચ્ચે ત્રણેય રથ ઉભા રાખવામાં આવ્યા છે.
સુરક્ષાની કડક વ્યવસ્થા દેશ-વિદેશથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ રથ ખેંચવાની પ્રક્રિયાના સાક્ષી બનશે. અપર પોલીસ મહાનિદેશક (કાયદો અને વ્યવસ્થા) સંજય કુમારે જણાવ્યું કે આયોજનની સુરક્ષા સંગીન કરવામાં આવી છે. NSG અને RAFના કમાન્ડો, CRPF અને BSFના જવાનો સહિત કેન્દ્રીય સશસ્ત્ર દળોની ૧૫ કંપનીઓ (અંદાજે ૧,૫૦૦ જવાન) અને ૧૩,૦૦૦ પોલીસકર્મીઓ પહેલાથી જ તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરિયાકાંઠા પર ૫૦૦ લાઇફગાર્ડ પણ તૈનાત કરાયા છે.
ડ્રોનથી રખાશે દરેક ખૂણા પર નજર ઓડિશાના ડીજીપી વાય.બી. ખુરાનિયાએ જણાવ્યું કે પુરીની વાર્ષિક રથયાત્રા માટે તમામ દિશાઓથી દેખરેખ સહિત બહુસ્તરીય સુરક્ષા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આ વખતે અમારું ધ્યાન ભીડ નિયંત્રણ, ટ્રાફિક મેનેજમેન્ટ અને ઇમરજન્સી રિસ્પોન્સ પર રહેશે તથા અમે ડ્રોન અને એન્ટી-ડ્રોન સિસ્ટમ દ્વારા આકાશમાંથી સુરક્ષાનું ધ્યાન રાખીશું. તેમણે ઉમેર્યું કે દરિયામાં ભારતીય નૌસેના, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ઓડિશા મરીન પોલીસ સ્ટેશનની સંયુક્ત પેટ્રોલિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે અને જહાજો પર ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) તૈનાત કરવામાં આવી છે.

