શું હિન્દુ આસ્થાઓ આટલી સસ્તી છે? ભગવાન કૃષ્ણ સાથે માંસાહારી વાનગી બતાવતા કેરળની રેસ્ટોરન્ટનો ભારે વિરોધ

કેરળની એક રેસ્ટોરન્ટ માટે તહેવારની શુભેચ્છા પાઠવવી ભારે પડી ગઈ છે. વિશુ (Vishu) ના પવિત્ર તહેવાર નિમિત્તે પ્રોમોશનલ પોસ્ટરમાં ભગવાન કૃષ્ણની છબી સાથે માંસાહારી (ચિકન) વાનગી બતાવતા સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. નેટિઝન્સે આ કૃત્યને હિન્દુ આસ્થાનું અપમાન ગણાવીને રેસ્ટોરન્ટના બહિષ્કાર (Boycott) ની હાકલ કરી છે.
શું છે સમગ્ર વિવાદ?
કેરળના ચેર્થલામાં આવેલી 'મેહર માંડી એન્ડ ગ્રિલ્સ' (Meher Mandi & Grills) નામની રેસ્ટોરન્ટે વિશુ પર્વ નિમિત્તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં ભગવાન કૃષ્ણની તસ્વીરની સાથે માંસાહારી ચિકન ડિશ બતાવવામાં આવી હતી. સામાન્ય રીતે ભગવાન કૃષ્ણને શાકાહારી ભોગ અને માખણ ધરાવવામાં આવે છે, ત્યારે માંસાહાર સાથે તેમની છબી જોડતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સોશિયલ મીડિયા પર આ પોસ્ટર વાયરલ થતા જ લોકોએ તેને "ગણતરીપૂર્વક ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ" ગણાવ્યો હતો. ટ્વિટર (X) પર એક યુઝરે આક્રોશ વ્યક્ત કરતા લખ્યું કે, "શું હિન્દુ સેન્ટિમેન્ટ્સ આટલા સસ્તા છે? પાયાની સાંસ્કૃતિક સમજ ક્યાં ગઈ?" અન્ય ઘણા લોકોએ આ રેસ્ટોરન્ટને કાયમી ધોરણે બંધ કરવાની અને તેનો સંપૂર્ણ બહિષ્કાર કરવાની માગ કરી છે.
રેસ્ટોરન્ટનો બચાવ: 'ડિઝાઈનરની ભૂલ'
ચારેબાજુથી ઘેરાયા બાદ અને વિરોધ ઉગ્ર બનતા રેસ્ટોરન્ટના માલિકોએ ઇન્સ્ટાગ્રામ પર એક માફીનામું શેર કર્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ એક "અજાણતા થયેલી ભૂલ" હતી. રેસ્ટોરન્ટના જણાવ્યા અનુસાર, પોસ્ટર આઉટસોર્સ કરેલા ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવ્યું હતું અને મેનેજમેન્ટની નજર બહાર તે પોસ્ટ થઈ ગયું હતું. તેમણે ખાતરી આપી હતી કે ભવિષ્યમાં આવી ભૂલ ફરીથી નહીં થાય.
લોકોમાં હજુ પણ રોષ
રેસ્ટોરન્ટની માફી છતાં સોશિયલ મીડિયા પર લોકો શાંત પડ્યા નથી. ઘણા યુઝર્સનું કહેવું છે કે કોઈપણ બ્રાન્ડિંગ કે જાહેરાત મેનેજમેન્ટની મંજૂરી વગર પબ્લિશ થઈ શકે નહીં. લોકો આ ઘટનાને માત્ર ભૂલ નહીં પણ પબ્લિસિટી સ્ટંટ તરીકે જોઈ રહ્યા છે. હાલમાં કેરળમાં આ મુદ્દે ભારે રાજકીય અને સામાજિક ચર્ચાઓ જાગી છે.

