જસ્ટિસ યશવંત વર્મા કેશ કાંડ: સંસદીય તપાસ સમિતિનો રિપોર્ટ જાહેર, 3 મોટા આરોપો સાબિત

જસ્ટિસ યશવંત વર્મા સાથે જોડાયેલા કેશ કાંડ કેસમાં સંસદીય તપાસ સમિતિનો રિપોર્ટ સામે આવ્યો છે. સમિતિએ જણાવ્યું કે, દિલ્હી સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી મોટી માત્રામાં ભારતીય ચલણી નોટો મળી આવવા અને તેના સ્ત્રોત કે માલિકી હક અંગે કોઈ સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નથી.
સંસદીય સમિતિની તપાસમાં સાબિત થયેલા 3 આક્ષેપો
અઘોષિત રોકડ રકમ: દિલ્હીના 30, તુઘલક ક્રેસન્ટ સ્થિત સત્તાવાર નિવાસસ્થાનના સ્ટોરરૂમમાંથી ₹500 ની નોટોના રૂપમાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી, જેનો સ્ત્રોત કે માલિકી જજ દર્શાવી શક્યા નથી.
પુરાવાઓની જાળવણીમાં બેદરકારી: ઘટનાસ્થળેથી ભૌતિક પુરાવાઓને યોગ્ય રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા ન હતા, અને પાછળથી કેટલીક નોટો ગાયબ થવા અંગે કોઈ સ્પષ્ટતા મળી ન હતી.
અસંતોષકારક અને ગોળગોળ જવાબો: જજ દ્વારા આપવામાં આવેલા જવાબો ગેરજવાબદાર અને ગોળગોળ માનીને સમિતિએ આ આક્ષેપ પણ સાબિત ગણાવ્યો છે.
વણઉકેલાયેલા સવાલો અને જજનો બચાવ
રોકડ રકમ કેટલી હતી? ઘટના સમયે રોકડ વિધિવત રીતે જપ્ત ન કરાઈ હોવાથી કે, નોટોની ગણતરી ન થઈ હોવાથી સમિતિ ચોક્કસ રકમ નક્કી કરી શકી નથી.
રાત્રે 2 વાગ્યાની વાતચીત: આગ લાગ્યા બાદ રાત્રે 2 વાગ્યે જસ્ટિસ વર્મા અને સ્ટાફ વચ્ચે થયેલી વાતચીત અંગે કોઈ વિગત આપવામાં આવી ન હતી, જેનો સમિતિએ પ્રતિકૂળ નિષ્કર્ષ કાઢ્યો છે.
જસ્ટિસ વર્માનું રાજીનામું: જસ્ટિસ વર્માએ અગાઉ અલ્હાબાદ હાઈકોર્ટના જજ પદેથી રાજીનામું આપી દીધું છે, જેના કારણે તેમને પદ પરથી હટાવવાની સંસદીય પ્રક્રિયા હવે નિષ્પ્રભાવી બની ગઈ છે.

