VIDEO: શું ફરી વધી રહ્યું છે કોવિડનું જોખમ? આંધ્ર પ્રદેશમાં 2 લોકોના મોત, 8 એક્ટિવ કેસ મળતા ફફડાટ!
આંધ્ર પ્રદેશના વાયએસઆર કડપ્પા જિલ્લામાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં કોવિડ-19ના આઠ કેસ સામે આવ્યા છે અને બે દર્દીઓના મોત થયા છે. નવા કેસ સામે આવવા અને દર્દીઓના મોત બાદ આરોગ્ય અધિકારીઓએ દેખરેખ અને તૈયારીઓના પગલાં તેજ કરી દીધા છે.
મળતી માહિતી મુજબ, કડપ્પાના રાજમપેટ વિસ્તારમાં એક 52 વર્ષીય વ્યક્તિને તાવ અને ઉધરસની ફરિયાદ થઈ હતી. તપાસમાં આ વ્યક્તિ કોવિડ-૧૯ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું, જેનું વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બીજી તરફ, અન્ય એક કિસ્સામાં કડપ્પાના 43 વર્ષીય વ્યક્તિની તબિયત બગડતાં તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તે કોવિડ-૧૯ સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું અને બાદમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો.
કડપ્પા મેડિકલ કોલેજના ૨૫ વર્ષીય મેડિકલ વિદ્યાર્થીનો રિપોર્ટ પણ વાયરસ માટે પોઝિટિવ આવ્યો છે અને હાલમાં તેને હોમ આઇસોલેશનમાં રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
2 મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને જિલ્લામાં ખાસ ક્વિક રિસ્પોન્સ ટીમ (ઝડપી પ્રતિક્રિયા ટીમ) તૈનાત કરવામાં આવી છે. આ ટીમે પ્રભાવિત વિસ્તારોમાંથી અંદાજે 40 લોકોના સેમ્પલ લીધા છે. અહેવાલ અનુસાર, 18 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે બાકીના સેમ્પલના રિપોર્ટ આવવાના બાકી છે.
જિલ્લા આરોગ્ય અધિકારીઓએ જિલ્લા પરિષદની બેઠકમાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાલમાં કોવિડ-19ના આઠ એક્ટિવ કેસ છે. વાયરસના વેરિઅન્ટ (પ્રકાર) ની ઓળખ કરવા અને તેના ફેલાવવાની પેટર્નને સમજવા માટે સેમ્પલ્સને જીનોમ સિક્વન્સિંગ માટે પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
આંધ્ર પ્રદેશના જિલ્લા પ્રભારી મંત્રી સવિતાએ અધિકારીઓને કડપ્પામાં સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે. મંત્રીએ જિલ્લા કલેક્ટર અને CMCHO (ચીફ મેડિકલ એન્ડ હેલ્થ ઓફિસર) સાથે ફોન પર વાતચીત કરીને કોવિડ-19ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરાવવાની સૂચના આપી છે.
તેમણે અધિકારીઓને તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો ધરાવતા લોકોની ઓળખ કરવા અને જ્યાં જરૂર જણાય ત્યાં તેમને આઇસોલેશન સેન્ટરોમાં ખસેડવાનો આદેશ પણ આપ્યો છે. પ્રભાવિત વિસ્તારોમાં સેનિટાઈઝેશનની કામગીરી તેજ કરવામાં આવી છે અને સફાઈ તેમજ બ્લીચિંગની પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
મંત્રીએ અધિકારીઓને સંક્રમિત વ્યક્તિઓના પરિવારના સભ્યોની તાત્કાલિક તપાસ કરવા પણ નિર્દેશ આપ્યો છે. તેમણે સૂચના આપી છે કે જેમનો રિપોર્ટ પોઝિટિવ આવે તેમને આઇસોલેશન વોર્ડમાં મોકલવામાં આવે, જ્યારે અન્યોને હોમ આઇસોલેશન દ્વારા દેખરેખ હેઠળ રાખવામાં આવે.
કડપ્પામાં કોવિડ-19ના કેસ સામે આવ્યા બાદ, રાજ્યના આરોગ્ય અધિકારીઓએ સમગ્ર આંધ્ર પ્રદેશમાં કોવિડ-૧૯ ની પૂર્વતૈયારી માટે એલર્ટ જાહેર કર્યું છે. જિલ્લા વહીવટીતંત્રોને દેખરેખ, ટેસ્ટિંગ, રિપોર્ટિંગ સિસ્ટમ અને સંક્રમણ નિયંત્રણના પગલાંને મજબૂત કરવા માટે કહેવામાં આવ્યું છે.
હોસ્પિટલોને પૂરતા બેડ અને તબીબી સહાય સાથે આઇસોલેશન સુવિધાઓ તૈયાર રાખવા આદેશ આપવામાં આવ્યો છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે તેઓ ગભરાય નહીં પરંતુ સતર્ક રહે, સ્વચ્છતા જાળવે, ભીડભાડવાળા વિસ્તારોમાં માસ્ક પહેરે અને કોવિડ જેવા લક્ષણો દેખાય તો તબીબી સહાય મેળવે.

