Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : India's sugar industry in trouble amid El Nino and rising demand for ethanol!

અલ-નીનો ઈફેક્ટ અને ઇથેનોલની વધતી માંગ વચ્ચે મુશ્કેલીમાં મુકાયો ભારતનો ખાંડ ઉદ્યોગ!

Timeછેલ્લું અપડેટ : 23 Jun 2026
લાઇવ ટીવીGoogle News
અલ-નીનો ઈફેક્ટ અને ઇથેનોલની વધતી માંગ વચ્ચે મુશ્કેલીમાં મુકાયો ભારતનો ખાંડ ઉદ્યોગ!
સોર્સ : GSTV

ભારત વિશ્વના અગ્રણી ખાંડ ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે, પરંતુ આગામી વર્ષોમાં આ ચિત્ર બદલાઈ શકે છે. હવામાન નિષ્ણાતોના મતે, આ વર્ષે અલ-નીનોની અસરને કારણે સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની આશંકા છે. આ સિવાય સરકારના ઇથેનોલ બ્લૅન્ડિંગ પ્રોગ્રામ પર વધતા ફોકસને લીધે પણ શેરડીનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે આ પરિસ્થિતિને જોતાં આગામી ઓછામાં ઓછા 3 વર્ષ સુધી ભારત પાસે મોટા પાયે નિકાસ કરવા માટે વધારાની ખાંડ ઉપલબ્ધ નહીં રહે.

App Store

ઓછા વરસાદને કારણે ખેડૂતો બદલી રહ્યા છે પાક

ભારતમાં શેરડીની ખેતીનો મોટો આધાર ચોમાસા પર રહેલો છે. હવામાન વિભાગના અંદાજ પ્રમાણે આ વર્ષે વરસાદ ઓછો રહી શકે છે અને જૂન મહિનામાં પણ દેશના ઘણા વિસ્તારોમાં ઓછી વર્ષા થઈ છે. પાણીની અછતની ભીતિને કારણે હવે કેટલાક ખેડૂતો શેરડીને બદલે સોયાબીન, તુવેર અને અન્ય ઓછું પાણી માગતા પાકો તરફ વળી રહ્યા છે. જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો આગામી સીઝનમાં શેરડીના વાવેતર અને ઉત્પાદન બંને પર માઠી અસર પડી શકે છે.

ખપત કરતાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ

ઉદ્યોગ જગતના આંકડા અનુસાર, 2025-26ની સીઝનમાં ભારતનું ખાંડ ઉત્પાદન ઘટીને આશરે 2.79 કરોડ ટન રહેવાની ધારણા છે. તેની સામે દેશમાં દર વર્ષે ખાંડની ઘરઆંગણે વપરાશ લગભગ 2.85 કરોડ ટન જેટલી થાય છે. એટલે કે દેશમાં ખાંડની જરૂરિયાત તેના ઉત્પાદન કરતાં વધુ રહેશે. આ તફાવતને કારણે ખાંડ મિલો પાસે બચેલો સ્ટોક ઘટીને માત્ર 35 લાખ ટન આસપાસ રહી જશે, જે છેલ્લા કેટલાક દાયકાઓનું સૌથી નીચું સ્તર હશે.

ઇથેનોલની વધતી માગથી ખાંડ સેક્ટર પર દબાણ

સરકાર ક્રૂડ ઓઇલના આયાત બિલને ઘટાડવા માટે પેટ્રોલિયમમાં ઇથેનોલનું પ્રમાણ વધારવા પર ખાસ ભાર મૂકી રહી છે. આ માટે શેરડી અને તેના બાય-પ્રોડક્ટ્સનો ઉપયોગ ઇથેનોલ બનાવવામાં મોટા પાયે થઈ રહ્યો છે. હાલમાં દેશમાં ઇથેનોલની માગ આશરે 12થી 13 અબજ લીટર છે, જે આગામી વર્ષોમાં વધીને 30 અબજ લીટર સુધી પહોંચી શકે છે. આ સંજોગોમાં શેરડીનો એક બહુ મોટો હિસ્સો ખાંડ બનાવવાના બદલે ઇથેનોલ ઉત્પાદન તરફ ડાયવર્ટ થઈ જશે.

નિકાસકાર દેશમાંથી આયાતકાર બનવાની નોબત આવશે?

ભારત અગાઉ વૈશ્વિક ખાંડ બજારમાં 10% હિસ્સો ધરાવતો વિશ્વનો બીજો સૌથી મોટો ખાંડ નિકાસકાર દેશ હતો અને 2022-23 સુધીના 5 વર્ષોમાં દર વર્ષે સરેરાશ 68 લાખ ટન ખાંડ વિદેશોમાં વેચતો હતો. પરંતુ હવે સરકારની પ્રાથમિકતા દેશની સ્થાનિક સપ્લાય અને જરૂરિયાતો પૂરી કરવાની છે, જેથી આગામી સમયમાં નિકાસ પર કડક નિયંત્રણો ચાલુ રહેશે.

નિષ્ણાતોના મતે, જો અલ-નીનોની અસર વધુ ઘાતક રહી, તો ભારતે વિદેશોમાંથી ખાંડ પણ આયાત કરવી પડી શકે છે. આ પૂર્વે ભારતે છેલ્લે 2016-17 અને 2017-18માં દુષ્કાળને કારણે ખાંડ આયાત કરી હતી. તે પહેલાં 2009 અને 2010માં ભારતે કરેલી ખાંડની જંગી ખરીદીને કારણે આખી દુનિયામાં ખાંડના ભાવો આસમાને પહોંચી ગયા હતા. ઓછો વરસાદ, ઇથેનોલની માગ અને શેરડીની ખેતી પરનું આ દબાણ હાલમાં ભારતના ખાંડ ઉદ્યોગ સામે સૌથી મોટો પડકાર છે.