VIDEO: સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવા દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો આદેશ
લદાખના સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય સંબંધિત કેસમાં દિલ્હી હાઈકોર્ટે આજે એક અત્યંત મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. અદાલતે વાંગચુકને તેમની જ પસંદગીની મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે મેદાંતા હોસ્પિટલ પ્રશાસનને નિષ્ણાત ડોક્ટર્સની એક વિશેષ પેનલ બનાવવાની અને વાંગચુકના તમામ મેડિકલ રિપોર્ટ્સ આ પેનલને સુપ્રત કરવાની સૂચના આપી છે.
વાંગચુક મેદાન્તા હોસ્પિટલમાં જાય તેમાં અમને કોઈ વાંધો નથી: કેન્દ્ર સરકાર
સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલે હાઈકોર્ટને જણાવ્યું હતું કે સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવે તેની સામે સરકારને કોઈ વાંધો કે આપત્તિ નથી. પરંતુ, સરકારે આ સાથે એક મહત્વની શરત રજૂ કરી હતી. સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે વાંગચુકને ડોક્ટરોની મેડિકલ સલાહ વિરુદ્ધ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મેળવવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
સોનમ વાંગચુકની આસપાસ રહેલા કેટલાક લોકો તેમને હોસ્પિટલમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેની અસર બહારની પરિસ્થિતિ પર પડી શકે છે. વાંગચુક પોતાની પસંદગીની હોસ્પિટલ અને ડોક્ટર પસંદ કરવા માટે મુક્ત છે, પરંતુ ડોક્ટર્સની સલાહ વિના તેઓ ડિસ્ચાર્જ ન થઈ શકે.
- સોલિસિટર જનરલ
જો વાંગચુક ફરીથી આંદોલન કરે અને તબિયત લથડે તો જવાબદાર કોણ?: સરકાર
સોલિસિટર જનરલે સુનાવણી દરમિયાન કોર્ટ સમક્ષ એક ગંભીર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જો હોસ્પિટલમાંથી નીકળીને વાંગચુક ફરીથી પોતાના પ્રદર્શન સ્થળ પર જતા રહેશે અને ત્યાં તેમની તબિયત લથડશે કે તેમને કંઈ થઈ જશે, તો તેની જવાબદારી કોની રહેશે?
દિલ્હી હાઈકોર્ટે વાંગચુકના મેડિકલ રિપોર્ટ્સની સમીક્ષા કર્યા બાદ અને ડોક્ટરો સાથે ચર્ચા કર્યા બાદ જણાવ્યું કે તમામ મેડિકલ એક્સપર્ટ્સ એક વાત પર સહમત છે કે વાંગચુકના સ્વાસ્થ્ય પર સતત તબીબી દેખરેખ રાખવી ખૂબ જ જરૂરી છે. તમામ પક્ષોની દલીલો અને ડોક્ટર્સના અભિપ્રાયો સાંભળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટે આખરે આદેશ આપ્યો કે સોનમ વાંગચુકને મેદાંતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે, કારણ કે આ હોસ્પિટલ તેમની પોતાની પસંદગીની છે.

