VIDEO: 'વંદે માતરમ ગાવામાં ગુનો હોય તો ગાંધીજી અને નેહરુ સામે કેસ કરો!' ગોવામાં મલ્લિકાર્જુન ખડગેનો સૌથી મોટો પલટવાર!
રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ના ગાનને લઈને સર્જાયેલા રાજકીય વિવાદ વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગોવામાં આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ પક્ષ દાયકાઓ જૂની પરંપરા અને રાષ્ટ્રીય નેતાઓના નિર્ણયોનું જ પાલન કરી રહ્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ જણાવ્યું કે તેઓએ એ જ વંદે માતરમ ગાયું છે જે મહાત્મા ગાંધી અને પંડિત જવાહરલાલ નેહરુ ગાતા હતા. જો આ ગીત ગાવું કોઈ ગુનો હોય, તો વિરોધી પક્ષો છેલ્લા ૧૮ વર્ષથી તે ગુનો કરી રહ્યા છે. તેમણે કટાક્ષ કરતાં કહ્યું કે જો આ ગુનો ગણાતો હોય તો પહેલાં મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ સામે કેસ દાખલ કરવો જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું કે દેશમાં કયા રાષ્ટ્રીય ગીતો અપનાવવા તે અંગેનો ઠરાવ વિરોધીઓના જન્મ પહેલાં જ કોંગ્રેસે પસાર કરી દીધો હતો. તેમણે ઉમેર્યું કે કોઈ એક પક્ષ કે વ્યક્તિ કહે તેનાથી દેશના નિયમો નક્કી થતા નથી. કાલે બીજી સરકાર આવશે તો તેના કહેવાથી નિયમો નહીં બદલાય; કોંગ્રેસ માત્ર છેલ્લા 90 વર્ષથી ચાલતી આવેલી પ્રથાને આગળ ધપાવી રહી છે.

