VIDEO: "હું મારો પગાર કે પેન્શન નથી લેતી, છતાં મને જ ટાર્ગેટ કરે છે": ભાજપ અને RSS પર મમતા બેનર્જીના તીખા પ્રહારો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના સુપ્રીમો મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર, ભાજપ અને RSS પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે પોતાની નાણાકીય પારદર્શિતાનો ઉલ્લેખ કરવાની સાથે વિરોધ કરી રહેલા યુવાનો અને મંદિરોના દાન અંગે ભાજપની નીતિઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.
"પુસ્તકોની રોયલ્ટીથી ચલાવું છું મારું જીવન"
વિરોધીઓ પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, "તેઓ મને ગાળો આપવાની કે મારું અપમાન કરવાની એક પણ તક છોડતા નથી, છતાં પણ તેઓ સારી રીતે જાણે છે કે મેં મારા પગાર કે પેન્શનમાંથી એક રૂપિયો પણ લીધો નથી. હું મારા પુસ્તકોની રોયલ્ટીમાંથી મળતા નાણાંથી મારું જીવન ચલાવું છું. જોકે, આ વર્ષે મને તે પણ મળ્યા નથી કારણ કે અમારા બેંક ખાતાઓ સીઝ (ફ્રીઝ) કરી દેવામાં આવ્યા છે."
RSS અને ભાજપના ફંડિંગ પર સવાલો
ભાજપ અને RSS ના નાણાકીય સ્ત્રોતો સામે સવાલ ઉઠાવતા TMC વડાએ કહ્યું, "ભાજપ પાસે કેટલા બેંક ખાતાઓ છે? RSS તો રજિસ્ટર્ડ પણ નથી, છતાં તેમને વિદેશી ફંડ મળે છે! બીજી તરફ, વિરોધ પ્રદર્શન કરી રહેલી યુવા પેઢીને તેઓ 'રાષ્ટ્રવિરોધી' ચિતરી રહ્યા છે. આ યુવાનો અને તેમના પરિવારજનો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે."
"રામનું નામ લઈને દાનપેટીઓ લૂંટવામાં આવે છે"
મંદિરોના દાન અંગે ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા મમતા બેનર્જીએ ઉમેર્યું, "મને જાણવા મળ્યું છે કે છેલ્લા 3 મહિનાના ટૂંકા ગાળામાં બંગાળમાં લાખો રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી છે. તેઓ ભગવાન રામના નામે નારા લગાવે છે, પણ તેમની જ દાનપેટીઓમાંથી લૂંટ ચલાવે છે. દેશભરના મંદિરો અને રાજ્યોમાં આ જ થઈ રહ્યું છે. ભાજપ એવું સમજે છે કે મંદિરોની દાનપેટીઓ પણ તેમની જ માલિકીની છે."

