VIDEO: "હું માત્ર હળવા અંદાજમાં મજાક કરું છું..." શો પર લાગેલા આરોપો અંગે શેખર સુમને કરી સ્પષ્ટતા!
દિગ્ગજ એક્ટર શેખર સુમન જ્યારથી યુટ્યુબ પર પોતાનો લેટ-નાઇટ ટોક શો 'શેખર ટુનાઇટ' લઈને આવ્યા છે, ત્યારથી તેઓ સતત ચર્ચામાં છે. મે ૨૦૨૬માં શરૂ થયેલા આ શોના અત્યાર સુધીમાં 11 એપિસોડ આવી ચૂક્યા છે અને દર વખતે રાજકીય પક્ષો, નેતાઓ અને સરકાર પર કટાક્ષ કરવાનો તેમનો અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. યુઝર્સ આને શેખર સુમનની 'દિલેરી' પણ કહી રહ્યા છે, જ્યારે તાજેતરમાં જ તેમના પ્રોડ્યુસર મિત્ર ધર્મેશ સંગાણીના ઘરે ઈડી (ED)ના દરોડા પણ પડ્યા છે. ૬૩ વર્ષના શેખર સુમને એક તાજેતરના ઈન્ટરવ્યુમાં પોતાની આ 'બેબાક શૈલી' પર સ્પષ્ટતા કરી છે. તેઓ કહે છે કે એ ગેરસમજ છે કે તેઓ માત્ર મોદી સરકારની જ ટીકા કરે છે, બલ્કે તેમના જોક્સમાં રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલ સુધીના નેતાઓના નામ સામેલ હોય છે.
શેખર સુમને 'દ વડાયર' માટે કરણ થાપર સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈને 'રોસ્ટ' નથી કરતા. તેમનું કહેવું છે કે તેઓ પોતાના અંદાજને રોસ્ટિંગ કરતાં 'હળવા-ફૂલવા અંદાજમાં કટાક્ષ કરવી ' કહેવાનું વધુ પસંદ કરશે. શેખર સુમનનો આ શો 'શેખર ટુનાઇટ' ૧૯૯૦ના દાયકામાં તેમના સુપરહિટ શો 'મુવર્સ એન્ડ શેકર્સ'ની જેમ જ પોલિટિકલ સેટાયર ફોર્મેટ અને સેલિબ્રિટી ઇન્ટરવ્યુ પર આધારિત છે.
'હું બસ હળવા અંદાજમાં તેમની મજાક કરું છું'
જ્યારે ઈન્ટરવ્યુમાં શેખર સુમનને પૂછવામાં આવ્યું કે તેઓ રાજનેતાઓ પર મજાક કરવાની પોતાની શૈલીને કેવી રીતે વર્ણવશે? ત્યારે તેમણે જવાબ આપ્યો, "હું બસ હળવા અંદાજમાં તેમની મજાક કરું છું અથવા તેમની ટીકા કરું છું. હું એવું પણ નહીં કહું કે હું કઠોર છું કે કોઈની બુરાઈ કરી રહ્યો છું. આ વ્યંગ્યનું ખૂબ જ હળવું સ્વરૂપ છે."
શેખર સુમન બોલ્યા- મારી વાતો સંસદીય દાયરામાં, ગાળાગાળીથી દૂર
શેખર સુમને આગળ ઉમેર્યું, "તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર અને ન્યૂઝ ચેનલોની ડિબેટમાં શું થાય છે - તે કેટલું કઠોર અને ખરાબ હોય છે, જેમાં અપશબ્દો અને ગાળાગાળી હોય છે. હું આ બધી બાબતોથી સંપૂર્ણપણે દૂર રહું છું. મારો ભાર એ વાત પર હોય છે કે જ્યારે હું તેમના વિશે વાત કરું, ત્યારે તે સંસદીય દાયરામાં હોય, સ્વીકાર્ય હોય અને ભાષા ખૂબ જ સારી હોય. તેમાં એક સાહિત્યિક બારીકાઈ હોવી જોઈએ. વાતને એટલી હળવી અને સારી રીતે કહેવી જોઈએ કે જો હું કોઈના વિશે વાત કરું તો તેને પણ ખરાબ ન લાગે."
'મારો હેતુ રોસ્ટ કરવાનો નથી, મારો કોઈ એજન્ડા નથી'
પોતાના શોમાં મોદી સરકારથી લઈને આમિર ખાનના ત્રીજા લગ્ન સુધીની બાબતો પર કટાક્ષ કરનાર શેખર કહે છે, "મારો હેતુ તેમને 'રોસ્ટ' કરવાનો નથી. રોસ્ટિંગ થોડું ખરાબ હોઈ શકે છે અને મને હંમેશા લાગે છે કે રોસ્ટિંગ ખૂબ જ વ્યક્તિગત (પર્સનલ) થઈ જાય છે. આ કોઈ પર્સનલ એજન્ડા નથી. જેમ મેં કહ્યું, હું એક પ્રકારે સંતુલન જાળવીને ચાલું છું."
હું રાહુલ, મમતા, કેજરીવાલ વિશે પણ વાત કરું છું
'શેખર ટુનાઇટ' શો અને તેના હોસ્ટ શેખર સુમન પર એવા આરોપો પણ લાગતા રહ્યા છે કે તેઓ જાણીજોઈને મોદી સરકારને નિશાન બનાવે છે. આ અંગે અભિનેતાએ સફાઈ આપતા કહ્યું, "આ એક ગેરસમજ છે કે હું માત્ર મોદી વિશે જ વાત કરું છું. હું રાહુલ, મમતા, કેજરીવાલ અને લગભગ દરેક વિશે વાત કરું છું. જેમ કે અમારો શો કહે છે - 'જો તમે ન્યૂઝમાં છો, તો તમે શેખરના વ્યુઝમાં છો.' તેથી મને આ વાત ખૂબ ગમે છે."
શેખર સુમને અગાઉ પણ જણાવ્યું હતું કે તેઓ ભડકાવનારા કન્ટેન્ટના બદલે, લોકોને વિચારવા મજબૂર કરે તેવા કન્ટેન્ટ પર ભાર મૂકે છે. તેઓ રાજકીય અને સામાજિક જોક્સ પોતાની ટીમ સાથે મળીને લખે છે, જેનો મુખ્ય ફોકસ સામાજિક બુરાઈઓ, જવાબદારી અને આત્મ-ચિંતન પર હોય છે.
ધર્મેશ સંગાણી કોણ છે? શેખર સુમન સાથે શું સંબંધ છે?
દિગ્ગજ એક્ટરની આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે ગત ૧૦ જુલાઈએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કલાની ઇમ્પેક્સ પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડાયરેક્ટર ધર્મેશ સંગાણીના ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા. સંગાણી પર ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ના ઉલ્લંઘનના આરોપો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓ તેમની વિદેશમાં રહેલી સંપત્તિઓ, વિદેશી બેંક ખાતાઓ અને નિકાસ (એક્સપોર્ટ) ની આવકમાં કથિત ગેરરીતિઓની તપાસ કરી રહ્યા છે. ધર્મેશ સંગાણી ફિલ્મ પ્રોડક્શન સાથે પણ જોડાયેલા છે. તેઓ શેખર સુમનના બિઝનેસ પાર્ટનર અને મિત્ર છે. બંનેએ મળીને 'શેખર સુમન ફિલ્મ એકેડમી' ની શરૂઆત કરી છે.

