VIDEO:શ્રીનગરમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો
ભારતના મેદાની રાજ્યોમાં પડી રહેલી અસહ્ય અને કાળઝાળ ગરમીથી બચવા માટે પ્રવાસીઓએ પહાડી વિસ્તારો તરફ પ્રયાણ કર્યું છે, જેના કારણે જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. દિલ્હી પંજાબ હરિયાણા અને ગુજરાત જેવા રાજ્યોમાં પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે ત્યારે શ્રીનગરનું ખુશનુમા હવામાન પ્રવાસીઓ માટે મોટી રાહત લઈને આવ્યું છે. શ્રીનગરના વિશ્વપ્રસિદ્ધ દલ સરોવર મુઘલ ગાર્ડન અને નિશાત બાગ જેવા પર્યટન સ્થળો પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. દલ સરોવરમાં શિકારાની સવારી અને હાઉસબોટમાં રોકાણ કરવા માટે પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સ્થાનિક પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ, હોટેલ માલિકો અને શિકારા ચાલકો આ વધતા પ્રવાહથી ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે તેનાથી સ્થાનિક અર્થતંત્રને મોટો વેગ મળી રહ્યો છે. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વચ્ચે પ્રવાસીઓનો આ આંકડો હજુ પણ રેકોર્ડ સ્તરે પહોંચે તેવી આશા સેવાઈ રહી છે.

