VIDEO: ‘હોર્મુઝ બંધ છે, પાછા જાઓ’ ઈરાને ભારતના ‘ભાગ્ય લક્ષ્મી’ જહાજને અધવચ્ચેથી પરત મોકલ્યું, ઓડિયો મેસેજ વાયરલ
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ રહેલા ભારતીય જહાજ 'ભાગ્ય લક્ષ્મી' ને અટકાવ્યું હતું. એક ઓડિયો રેકોર્ડિંગમાં ખુલાસો થયો છે કે, ઈરાની અધિકારીએ જહાજના કેપ્ટનને તાત્કાલિક પરત ફરવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ઈરાકી તેલ લઈને જઈ રહેલા 'સનમાર હેરાલ્ડ' નામના અન્ય એક ભારતીય જહાજ પર ઈરાની ગનબોટ્સે ગોળીબાર પણ કર્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી અને તમામ ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે.
ઈરાની સેનાની કાર્યવાહી વિરુદ્ધ ભારતનો કડક વિરોધ
આ ગંભીર ઘટનાને પગલે ભારત સરકારે નવી દિલ્હીમાં ઈરાની રાજદૂતને બોલાવ્યા છે. વિદેશ સચિવે ઈરાની રાજદૂત સાથેની મુલાકાતમાં ભારતીય જહાજો પર થયેલા ફાયરિંગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારતે સ્પષ્ટ કહ્યું છે કે, તે પોતાના નાગરિકો અને જહાજોની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે. અગાઉ ઈરાને ભારતીય જહાજોને સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી હતી, તેથી ભારત હવે ઈરાન પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યું છે.
શા માટે ઈરાને રસ્તો બંધ કર્યો?
ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ અગાઉ લેબનાન-ઈઝરાયેલ યુદ્ધવિરામ બાદ આ હોર્મુઝ ખુલ્લો હોવાનું જણાવ્યું હતું. પરંતુ, અમેરિકાએ ઈરાની પોર્ટ પર નાકાબંધી કરતા ઈરાને તેના વિરોધમાં ફરીથી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો છે. હવે ઈરાનનું કહેવું છે કે, કોઈ પણ દેશના જહાજને 'બ્લેન્કેટ એપ્રૂવલ' આપવામાં આવશે નહીં અને દરેક જહાજે પસાર થવા માટે અલગથી મંજૂરી લેવી પડશે.
ચીની જહાજને પણ પાછું વાળ્યું
માત્ર ભારત જ નહીં, પરંતુ ઈરાને ચીનના 'સન પ્રોફિટ' નામના જહાજને પણ મંજૂરી વગર પસાર થવા દીધું ન હતું અને તેને પરત ફરવા મજબૂર કર્યું હતું. મુંબઈ સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી છે કે, પૂર્વ મંજૂરી વગર કોઈ પણ જહાજને આ જળમાર્ગમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

