VIDEO: ‘તેમનામાં શરમ કે મર્યાદા જ નથી બચી...’, ઇટાલિયન માતાના દબાણને કારણે જ વિપક્ષી દળોએ નેતા બનાવ્યા; રાહુલ ગાંધી પર ભડકી કંગના રનૌત
લોકસભામાં વિપક્ષના નેતા (LoP) રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા નિવેદનો અને સંસદીય વર્તનને લઈને મંડીના ભાજપના સાંસદ કંગના રનૌતે સખત વિરોધ નોંધાવતા તેમના પર તીખા પ્રહારો કર્યા છે. કંગના રનૌતે જણાવ્યું હતું કે, "મને લાગે છે કે તેઓ દેશની મજાક ઉડાવી રહ્યા છે. તેમના માટે દરેક બાબત એક મજાક સમાન છે. સંસદની આવી મજાક બનતી મેં પહેલીવાર જોઈ છે. એક તરફ તેઓ એવું કહે છે કે 'અમે ગૃહમંત્રી અમિત શાહજી પાસે જવાબ માંગીએ છીએ કે તેમણે વિદ્યાર્થીઓ સાથે શું કર્યું' અને બીજી જ ક્ષણે એવું જાહેર કરે છે કે 'અમે તેમને સાંભળવા માટે અહીં નથી બેઠા.' તેમનામાં શરમ કે મર્યાદા જેવું કંઈ બચ્યું નથી."
તેમણે વધુમાં ઉમેર્યું કે, "આખી દુનિયા આ જોઈ રહી છે અને વિચારતી હશે કે આ કેવા વ્યક્તિ છે. વિપક્ષના નેતા તરીકેની તેમની ભૂમિકાને જોતા, જે રીતે તેઓ પોતાની નિરાશા કાઢી રહ્યા છે અને સંસદ તથા આખા દેશ અને નાગરિકોનું અપમાન કરી રહ્યા છે, મને ખાતરી છે કે લોકસભા નેતા તરીકે આ તેમનો છેલ્લો કાર્યકાળ હશે."
વડાપ્રધાનના રાજીનામાની માંગણી અને વિદેશી શક્તિઓ સાથે ગઠબંધનનો આક્ષેપ
રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગણીનો જવાબ આપતા ભાજપ સાંસદે કહ્યું કે, "તેઓ એવા વડાપ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે જેઓ લોકશાહી ઢબે સતત ત્રીજીવાર વિશાળ જનાદેશ મેળવીને ચૂંટાઈ આવ્યા છે. તેમને એવું લાગે છે કે આ દેશમાં તેમના સિવાય બીજા કોઈનું અસ્તિત્વ હોવું જ ન જોઈએ."
કંગના રનૌતે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, "જ્યોર્જ સોરોસ જેવા આંતરરાષ્ટ્રીય બળો સાથે મળીને તેઓ દેશને તોડવા અને બરબાદ કરવાનો કારસો રચી રહ્યા છે. અંતે તેઓ કોનું રાજીનામું માગે છે તેનાથી કોઈ ફરક નથી પડતો, કારણ કે જનતાને તેમની કોઈ પરવા નથી."
‘૧૦૦ ચૂંટણી હાર્યા પછી પણ તેમની કોઈ વજૂદ નથી’
ગાંધી પરિવાર અને કૉંગ્રેસ પર પ્રહાર કરતા કંગનાએ અંતમાં ઉમેર્યું હતું કે, "તેમની ઇટાલિયન માતાના દબાણને કારણે જ વિપક્ષી દળોએ અનિચ્છાએ પણ તેમને પોતાના નેતા તરીકે સ્વીકારવા પડ્યા છે. બાકી સતત 100 જેટલી ચૂંટણીઓ હાર્યા પછી રાજકારણમાં તેમની પોતાની કોઈ સ્થિતિ કે વજૂદ બચ્યું ન હોત."

