Republic Day 2026: ગુજરાતના ટેબ્લો દ્વારા વિદેશની ધરતી પર પ્રથમવાર ધ્વજ લહેરાવનાર વીરાંગનાને અપાઈ શ્રદ્ધાંજલિ, જુઓ Video

આજે 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભારતે તેની વિકાસ યાત્રા, સાંસ્કૃતિક વિવિધતા અને લશ્કરી શક્તિનું પ્રદર્શન કર્યું. ઓપરેશન સિંદૂર દરમિયાન તૈનાત કરાયેલા નવા રચાયેલા લશ્કરી એકમો અને મુખ્ય શસ્ત્ર પ્રણાલીઓના મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન રાષ્ટ્રીય રાજધાનીમાં આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
વિવિધ રાજ્યોના ટેબ્લો અને ભારતીય સશસ્ત્ર દળોની શક્તિ પ્રદર્શિત કરવામાં આવી
સમારોહની શરૂઆત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને કરી હતી, જ્યાં તેમણે સમગ્ર રાષ્ટ્ર વતી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રજાસત્તાક દિવસની ઉજવણી "કર્તવ્યના માર્ગમાં વંદે માતરમના 150 વર્ષ" થીમ પર હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમારોહની અધ્યક્ષતા કરી હતી, જે સવારે 10:30 વાગ્યે શરૂ થયો હતો અને લગભગ 90 મિનિટ સુધી ચાલ્યો હતો. સમારોહ દરમિયાન વિવિધ રાજ્યોના ટેબ્લો અને ભારતીય સશસ્ત્ર દળોની શક્તિ પ્રદર્શિત કરવામાં આવી હતી.
ભીખાઈજી કામાને સમર્પિત ગુજરાતનો ટેબ્લો
'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે, ગુજરાતના ટેબ્લોમાં ભીખાઈજી કામાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમણે ક્રાંતિકારીઓ શ્યામજી કૃષ્ણ વર્મા અને સરદાર સિંહ રાણા સાથે મળીને ભારતની સ્વતંત્રતાનો સંદેશ વિદેશી ભૂમિ પર પહોંચાડ્યો હતો. ટેબ્લોના માધ્યમથી ભારતીય રાષ્ટ્રધ્વજની ઐતિહાસિક નિર્માણયાત્રા અને તેની પાછળ રહેલા ક્રાંતિકારીઓના બલિદાનને જીવંત કરવામાં આવી. ટેબ્લોના અગ્રભાગમાં વીરાંગના મેડમ ભિખાઈજી કામાની પ્રતિમા હતી. જેમણે 1907માં વિદેશની ધરતી પર પ્રથમવાર તિરંગો લહેરાવીને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામની ગુંજ દુનિયાભરમાં ફેલાવી હતી. આ ઝાંખીમાં માત્ર ભૂતકાળનું ગૌરવ જ નહીં, પરંતુ ગાંધીજીના 'સ્વદેશી' મંત્રથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારતની થીમ પણ રજૂ કરવામાં આવી હતી..આ ઉપરાંતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના 'કસુંબીનો રંગ' ગીતના સૂરો સાથે આ ટેબ્લો પસાર થતા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. પીએમ મોદી પણ ગેસ્ટને આ ટેબ્લો વિશે માહિતી આપતા જોવા મળ્યા હતાં.

