સ્પેસમાં તિરંગો લહેરાવનાર Shubanshu Shukla 'અશોક ચક્ર'થી સન્માનિત, રાકેશ શર્મા પછી અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય

લખનૌ: ઇન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન અને ભારતના બીજા અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લાને 'અશોક ચક્ર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગણતંત્ર દિવસના સમારોહમાં શાંતિકાળના સર્વોચ્ચ સૈન્ય સન્માન દ્વારા તેમને નવાજવામાં આવ્યા. રવિવારે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ આની જાહેરાત કરવામાં આવી હતી અને સોમવારે સમારોહ દરમિયાન તેમને આ સન્માન એનાયત કરાયું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુભાંશુ ઉપરાંત સશસ્ત્ર દળોના 70 જવાનોને વીરતા પુરસ્કાર આપવાની મંજૂરી આપી છે. તેમજ, કેન્દ્ર સરકારે 131 પદ્મ પુરસ્કાર વિજેતાઓની જાહેરાત કરી છે. જેમાં ઉત્તર પ્રદેશની 11 હસ્તીઓ સામેલ છે.

શુભાંશુ શુક્લાની મોટી સિદ્ધિ
શુભાંશુ શુક્લાની વાર્તા દર્શાવે છે કે હિંમત માત્ર યુદ્ધના મેદાન માટે જ નહીં, પરંતુ અંતરિક્ષની ઊંચાઈઓ સર કરવા માટે પણ જરૂરી છે. લખનૌના એક સ્વપ્નદ્રષ્ટા યુવાનથી લઈને સ્પેસક્રાફ્ટના કંટ્રોલ સુધીની શુક્લાની યાત્રા ભારતના અંતરિક્ષ સપનાઓ માટે કોઈ ‘ટર્નિંગ પોઈન્ટ’ થી ઓછી નથી.
રાકેશ શર્માની ઉડાનના 41 વર્ષના લાંબા અંતરાલને ખતમ કરનારી તેમની આ સફર લાખો લોકો માટે પ્રેરણા સમાન છે. આ સન્માન માત્ર કૌશલ્યની જ ઓળખ નથી, પરંતુ ઓર્બિટમાં માનવીય સીમાઓને વિસ્તૃત કરવા માટે જરૂરી હિંમતની પણ સ્વીકૃતિ છે.
લખનૌથી સ્પેસ સુધીની સફર...
લખનૌમાં જન્મેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ 17 વર્ષની ઉંમરે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. કારગિલ યુદ્ધ અને IAF ના એર શોથી પ્રેરાઈને તેમણે પોતાના માતા-પિતાને જણાવ્યા વગર જ, એક મિત્રના ફોર્મનો ઉપયોગ કરીને નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA) માટે એપ્લાય કરી દીધું હતું.
વર્ષ 2006માં શુભાંશુ શુક્લા એક ફાઇટર પાઇલટ તરીકે ભારતીય વાયુસેના (IAF) માં જોડાયા હતા. તેમણે Su-30MKI, MiG-21, MiG-29, Jaguar અને Hawk જેવા વિમાનો પર 2,000 કલાકથી વધુ ઉડાન ભરી છે. ત્યારબાદ, તેઓ એક ટેસ્ટ પાઇલટ અને કોમ્બેટ લીડર બન્યા અને IISc બેંગલુરુથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી.
વર્ષ 2019માં, ISRO એ તેમને ગગનયાન મિશન માટે પસંદ કર્યા, જે અંતર્ગત તેમણે રશિયાના યુરી ગાગરીન સેન્ટરમાં તાલીમ લીધી હતી. આ સાથે જ તેમણે NASA અને ISRO ના સેશન્સમાં પણ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ માટે પસંદ કરાયેલા અંતિમ ચાર ઉમેદવારોમાંના તેઓ એક હતા.

