VIDEO: CJPની ત્રણેય માંગણીઓ સરકારે સ્વીકારી, કોકરોચ પાર્ટીએ પોતાનું પ્રદર્શન પૂર્ણ કરવાની કરી જાહેરાત
સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે દિલ્હીના કોન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે ચાલી રહેલી હાઈ-વોલ્ટેજ બેઠક પૂર્ણ થઈ ગઈ છે. બેઠક બાદ કરોચ જનતા પાર્ટી (CJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સરકારના પ્રતિનિધિમંડળ સાથે ત્રણ તબક્કાની વિસ્તૃત ચર્ચા થઈ છે. સરકારે અમારી ત્રણેય માંગણીઓ સ્વીકારી લીધી છે.
કેન્દ્રીય મંત્રીઓ સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકના સફળ પરિણામો બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) એ દિલ્હીના જંતર-મંતર પર ચાલી રહેલું પોતાનું ઐતિહાસિક આંદોલન સત્તાવાર રીતે પૂરું કરવાની જાહેરાત કરી દીધી છે. બેઠક બાદ યોજાયેલી સંયુક્ત પત્રકાર પરિષદમાં CJP ના પ્રવક્તાઓએ આંદોલન સમેટી લેવાનો નિર્ણય જાહેર કરતાં કહ્યું કે, તેમની તમામ મુખ્ય માંગણીઓ સરકારે પૂર્ણપણે સ્વીકારી લીધી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પરનો અસંતોષ શમ્યો નહોતો. CJP પોતાની બાકીની બે માંગણીઓ પર અડગ હતી. આખરે કેન્દ્ર સરકાર અને CJP ના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી મધ્યસ્થતા બેઠકમાં બાકીના બંને મુદ્દાઓ પર પણ પૂર્ણ સહમતિ સાધી લેવામાં આવી છે:
વિદ્યાર્થીઓ પરથી કેસ પાછા ખેંચાશે: સરકારે ખાતરી આપી છે કે 20 જુલાઈના રોજ યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન આંદોલનકારી વિદ્યાર્થીઓ અને આયોજકો સામે દાખલ કરવામાં આવેલા તમામ કાનૂની કેસો અને FIR રદ્દ કરવામાં આવશે તથા ભવિષ્યમાં પણ કોઈ સામે પગલાં લેવામાં નહીં આવે.
₹1 કરોડનું આર્થિક વળતર: NEET પેપર લીક અને પરીક્ષા રદ્દ થવાના કારણે જીવ ગુમાવનારા નિર્દોષ વિદ્યાર્થીઓના પરિવારોને સરકાર દ્વારા ₹1-1 કરોડનું વળતર ચૂકવવામાં આવશે.
"વિદ્યાર્થી શક્તિ અને લોકશાહીની જીત"
પ્રેસ કોન્ફરન્સમાં CJP નેતાઓએ આ પરિણામને દેશના યુવાનો, વિદ્યાર્થીઓ અને લોકશાહીની મોટી જીત ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમની ત્રણેય પ્રાથમિક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી હોવાથી હવે આંદોલન આગળ ચાલુ રાખવાનો કોઈ હેતુ રહેતો નથી, જેથી આ આંદોલન સત્તાવાર રીતે પરત ખેંચવામાં આવે છે.
આ નિર્ણય સાથે જ દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો હાઈ-વોલ્ટેજ રાજકીય અને સામાજિક ગતિરોધ આખરે શાંત પડ્યો છે.

