VIDEO: ‘જાઓ, માતાને પૂછો તમારો પિતા કોણ...’ CM વિજય પર તમિલનાડુ BJP ચીફની વિવાદિત ટિપ્પણી
Tamilanadu Controversy : તમિલનાડુના રાજકારણમાં મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને તેમના પરિવારને લક્ષ્ય બનાવીને કરવામાં આવેલી એક ટિપ્પણીથી મોટો વિવાદ ઊભો થયો છે. તમિલનાડુ ભારતીય જનતા પાર્ટી (BJP) ના પ્રદેશ પ્રમુખ નૈનાર નાગેન્દ્રને મુખ્યમંત્રી વિજય અને તેમની માતા વિશે કરેલા વિવાદિત નિવેદન બાદ રાજ્યમાં રાજકીય સંગ્રામ શરૂ થયો છે. આ નિવેદન સામે શાસક પક્ષ DMK સહિત ભાજપના જ પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભારે નારાજગી વ્યક્ત કરી છે.
શું હતો સમગ્ર વિવાદ?
તમિલનાડુ ભાજપ મુખ્યાલય 'કમલાલયમ' ખાતે યોજાયેલા એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં બોલતા નૈનાર નાગેન્દ્રને અભિનેતામાંથી નેતા બનેલા મુખ્યમંત્રી વિજય પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "જો કોઈને પોતાના 'પિતા ક્યાં છે' તેનો જવાબ જાણવો હોય તો તેણે વિધાનસભામાં શોધવાને બદલે ઘરે જઈને પોતાની માતાને પૂછવું જોઈએ."
ઉલ્લેખનીય છે કે, વિજયે અગાઉ વિધાનસભામાં એક 'કુટ્ટી કથઈ' (નાની વાર્તા) સંભળાવીને એમ. કે. સ્ટોલિન અને ઉધયનિધિ સ્ટાલિન પર પરોક્ષ પ્રહારો કર્યા હતા. નાગેન્દ્રને દાવો કર્યો હતો કે તેઓ વિજયની એ જ વાર્તાનો જવાબ આપી રહ્યા હતા.
પોતાની જ પાર્ટીના અન્નામલાઈ અને DMK મંત્રીએ કર્યો વિરોધ
કે. અન્નામલાઈ (પૂર્વ પ્રદેશ પ્રમુખ, BJP): તેમણે આ નિવેદનને રાજકીય મર્યાદાની બહાર ગણાવ્યું હતું. અન્નામલાઈએ કહ્યું કે, "સરકાર સામે સવાલો કરવા કે રાજકીય મતભેદો હોવા તે લોકશાહીનો ભાગ છે, પરંતુ કોઈ નેતાના પરિવાર કે ખાસ કરીને તેમની માતા પર અંગત ટિપ્પણી કરવી બિલકુલ સ્વીકાર્ય નથી. આ અત્યંત નીચલા સ્તરની ('થર્ડ રેટ') રાજનીતિ છે."
એ. રાજમોહન (રાજ્ય મંત્રી, DMK): તેમણે પણ આ નિવેદનને સભ્યતા વગરનું અને રાજકીય શિસ્તની વિરુદ્ધ ગણાવ્યું હતું.
વિવાદ વધતા નૈનાર નાગેન્દ્રને આપી સફાઈ
ચોમેરથી ઘેરાયા બાદ નૈનાર નાગેન્દ્રને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે લખ્યું કે, તેમના નિવેદનને કોઈ ખોટી માનસિકતા કે ચોક્કસ વ્યક્તિને નુકસાન પહોંચાડવાના હેતુથી લેવામાં ન આવે. કેટલાક લોકો રાજકીય ફાયદા માટે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ માતા, માતૃભૂમિ અને માતૃભાષા પ્રત્યે અત્યંત ઊંડો આદર અને સન્માન ધરાવનાર વ્યક્તિ છે.

