VIDEO: 'આઝાદી એટલે મન મરજી નહીં, દેશહિત પ્રથમ': NSA અજિત ડોભાલનો Gen-Z ને સ્પષ્ટ મેસેજ
મહારાષ્ટ્રના પુણે ખાતે શનિવારે લોકમાન્ય બાલ ગંગાધર તિલકની પુણ્યતિથિ નિમિત્તે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) પ્રમુખ અજિત ડોભાલને પ્રતિષ્ઠિત 'લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર' થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર સ્વરૂપે તેમને પરંપરાગત પુણેરી પગડી, સ્મૃતિ ચિહ્ન, ચેક અને તિલકજી દ્વારા લિખિત 'ગીતા રહસ્ય'ની પ્રત ભેટ આપવામાં આવી હતી. એવોર્ડ સ્વીકાર્યા બાદ પોતાના સંબોધનમાં અજિત ડોભાલે દેશના યુવાનો (Gen-Z) ને આઝાદીનો સાચો અર્થ સમજવા અપીલ કરી હતી, સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.
"દેશને મજબૂત નેતૃત્વ મળ્યું છે, રાષ્ટ્રહિત સર્વોપરી"
પોતાના વક્તવ્યમાં NSA અજિત ડોભાલે જણાવ્યું હતું કે, "અમે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે દેશને પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવું મજબૂત નેતૃત્વ મળ્યું છે. ભારત હાલમાં આંતરિક અને બાહ્ય એમ બંને પ્રકારના પડકારો સામે મક્કમતાથી લડી રહ્યું છે. દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે, તેથી કેટલીક વિરોધી તાકતો ભારતની પ્રગતિથી અસ્વસ્થ છે. આવા સમયે દરેક નાગરિકે સૌથી પહેલા માત્ર ને માત્ર દેશહિત વિશે જ વિચારવું જોઈએ."
યુવાનોને શીખ: 'આઝાદીનો સાચો અર્થ સમજવો જરૂરી'
આજના યુવાનો અને Gen-Z ને મોટી શીખ આપતાં ડોભાલે ઉમેર્યું હતું કે, આજના યુગમાં યુવા પેઢીએ આઝાદીનો સાચો અર્થ જાણવો અત્યંત જરૂરી છે. કેટલાક લોકો એવું માની લે છે કે આઝાદી એટલે પોતાની મનમરજી મુજબ કંઈ પણ કરવું, પરંતુ આવી માનસિકતા સંપૂર્ણપણે ખોટી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે રસ્તો રાષ્ટ્રહિતની વિરુદ્ધ હોય, તેના પર એક કદમ પણ આગળ વધારવું જોઈએ નહીં. ભારતને સશક્ત અને શક્તિશાળી બનાવવું એ આપણા સૌની પ્રાથમિક ફરજ છે.
પુણે સાથેની યાદો અને લોકમાન્ય તિલકનું પ્રદાન
પોતાના બાળપણના દિવસો યાદ કરતાં અજિત ડોભાલે જણાવ્યું હતું કે, તેમના પ્રારંભિક અભ્યાસ દરમિયાન પુણેમાં જ તેમણે પહેલીવાર લોકમાન્ય તિલકના વિચારોને ઊંડાણપૂર્વક સમજ્યા હતા. બ્રિટિશ શાસનકાળ દરમિયાન જ્યારે લોકો ડરના માર્યા ચૂપ રહેતા હતા, ત્યારે તિલકજીએ નિર્ભય બનીને અવાજ ઉઠાવ્યો હતો. જેલમાં ગયા પછી પણ તેમણે સમાજસેવાનો માર્ગ છોડ્યો નહોતો. ડોભાલે યુવાનોને અપીલ કરી હતી કે તેઓ તિલકજીના જીવન અને તેમના સંઘર્ષમાંથી પ્રેરણા લઈને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે.

