VIDEO: જમ્મુ-કાશ્મીરમાં 44 ટકા ઘટી ગયા વિદેશી પ્રવાસીઓ, 2025માં ભારતીય મુસાફરોની મુલાકાત ઘટી
કેન્દ્ર સરકારે લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ગયા વર્ષે 2025માં પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. વર્ષ 2022ની સરખામણીમાં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તો વર્ષ 2024ની સરખામણીમાં 2025માં અહીં આવતા દેશી પ્રવાસીઓની સંખ્યામાં લગભગ 23 ટકાનો ઘટાડો થયો છે, અને 44 ટકાથી વધુ વિદેશી પ્રવાસીઓ ઓછા થયા છે. છેલ્લા એક દાયકામાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો અને પરિસ્થિતિ બદલાવાને કારણે ધીમે ધીમે જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી હતી, પરંતુ ગયા વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ પ્રવાસીઓના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું હતુ. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, વર્ષ 2021માં ખીણની મુલાકાતે આવેલા દેશના પ્રવાસીઓની સંખ્યા 1.13 કરોડથી વધુ હતી, જ્યારે વિદેશી પ્રવાસીઓની સંખ્યા માત્ર 2 હજાર જ હતી. ત્યારબાદ 2022માં આ સંખ્યામાં વધારો થયો. દેશના પ્રવાસીઓની સંખ્યામાં 63.49 ટકાનો વધારો થયો અને 1.84 કરોડથી વધુ દેશી પ્રવાસીઓ આ કેન્દ્રશાસિત પ્રદેશની મુલાકાતે ગયા. વિદેશી પ્રવાસીઓની સંખ્યા 20 હજાર સુધી પહોંચી ગઈ હતી.

