VIDEO: ANDARNI VAAT / હાઈવે બંધ થતાં વંદે ભારત બની લાઈફલાઈન, જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન વચ્ચે રેલવે સેવાઓ મુસાફરોનો મોટો સહારો!
જમ્મુ-કાશ્મીરમાં તાજેતરમાં પડેલા મુશળધાર ચોમાસાના વરસાદ, ભૂસ્ખલન અને પહાડો પરથી પથ્થરો ખાબકવાની ઘટનાઓને કારણે શ્રીનગર હાઈવે સહિતના રાષ્ટ્રીય રાજમાર્ગો બંધ થઈ ગયા છે, જેનાથી વાહનવ્યવહાર પર ગંભીર અસરો પડી છે. આવી કટોકટીની સ્થિતિ વચ્ચે રેલવે સેવા ખાસ કરીને જમ્મુ-શ્રીનગર વંદે ભારત એક્સપ્રેસ મુસાફરો માટે સંકટમોચક અને મુખ્ય લાઈફલાઈન બનીને ઊભરી આવી છે. હાઈવે બંધ થવાના કારણે અટવાયેલા પ્રવાસીઓ, શ્રદ્ધાળુઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકો હવે મોટા પ્રમાણમાં રેલવે મુસાફરી તરફ વળ્યા છે. વહીવટી તંત્ર અને રેલવે વિભાગ દ્વારા અટવાયેલા મુસાફરોની સુવિધા માટે વિશેષ ટ્રેનોનું સંચાલન પણ કરવામાં આવી રહ્યું છે, જેથી લોકોને મુસાફરીમાં કોઈ મોટી અડચણ ન પડે..
રિયાસી જિલ્લાના સ્થાનિક રહીશો માટે માત્ર બસ કે માર્ગ પરિવહન પર નિર્ભર રહેવાને બદલે હવે જમ્મુ અને શ્રીનગર સુધી ટ્રેન મારફતે મુસાફરી કરવાનો એક ઉત્તમ અને સુરક્ષિત વિકલ્પ ઉપલબ્ધ બન્યો છે. કુદરતી આપત્તિના આ કપરા સમયમાં રેલ સેવાઓ સતત ચાલુ રહેતાં સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. મુશ્કેલ સમયમાં આ પ્રકારે સુગમ અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવા બદલ લોકોએ સરકાર અને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો છે. રસ્તાઓ બંધ હોવા છતાં ટ્રેન સેવાઓને કારણે ક્ષેત્રમાં સંપર્ક વ્યવસ્થા જળવાઈ રહી છે, જે રાહત અને બચાવ કામગીરી માટે પણ અત્યંત મદદરૂપ સાબિત થઈ રહી છે..
બ્યૂરો રિપોર્ટ જીએસટીવી

