હિંગોલીથી શરૂ થયું ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન: અભિજિત દીપકેએ સરકારી શાળાઓની બદહાલ સ્થિતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંયોજક અભિજિત દીપકેએ મહારાષ્ટ્રના હિંગોલીમાં આવેલા પોતાના ગામથી 'સ્કૂલ ઠીક કરો' અભિયાનની શરૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સત્તામાં ગમે તે પક્ષ રહ્યો હોય, પરંતુ સરકારી શાળાઓની સતત ઉપેક્ષા કરવામાં આવી છે. દીપકેએ જણાવ્યું કે, બાળકોને સમાન તકો મળી રહી નથી અને ગામડાઓની શાળાઓની સ્થિતિ સુધારવા માટે હવે સવાલો પૂછવા પડશે. આ સાથે તેમણે ખાનગી શાળાઓમાં ફીનું માળખું નક્કી કરવાની પણ માંગ કરી છે.
અભિજિત દીપકેએ શું આક્ષેપો કર્યા?
દીપકેએ સ્વતંત્રતા દિવસના અવસરે મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લાના સંતુક પિંપરીમાં પોતાના વતનની મુલાકાત લેતા પહેલા સરકારી શાળાઓની દયનીય સ્થિતિ અંગે રાજકીય પક્ષો પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, સરકારી શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણના સ્તરને સુધારવા માટે કોઈ પણ રાજકીય પક્ષે પૂરતું કામ કર્યું નથી. તેમણે ઉમેર્યું, 'લોકોને હવે સમજાઈ ગયું છે કે, તેમણે શિક્ષણ અંગે વાત કરવી જોઈએ. ગમે તે રાજકીય પક્ષની સરકાર રહી હોય, રાજ્યોમાં સરકારી શાળાઓ માટે કોઈએ નક્કર કામ નથી કર્યું. સવાલો પૂછીને જ આપણે આ પરિસ્થિતિ સુધારી શકીએ છીએ.'
તિરંગા રેલીના બેનરો અને ખર્ચ પર ઉઠાવ્યા સવાલો
છત્રપતિ સંભાજીનગર શહેરમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં યોજાયેલી તિરંગા રેલી દરમિયાન લગાવવામાં આવેલા વિશાળ બેનરોના ખર્ચ અંગે પણ દીપકેએ સવાલો ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું, 'તિરંગા રેલીનું આયોજન કરવું સારી બાબત છે. પરંતુ રેલી માટે દર 40-50 ફૂટના અંતરે મોટા મોટા બેનરો લગાવવામાં આવ્યા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા? જો આ જ પૈસા ગ્રામીણ વિસ્તારોની શાળાઓ અને વિદ્યાર્થીઓ પાછળ ખર્ચવામાં આવ્યા હોત તો વધુ સારું થાત. તેમણે વિચારવું જોઈએ કે તેઓ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બનાવવા માંગે છે કે નહીં.'
સરપંચોને સ્કૂલની સ્થિતિ સુધારવા અપીલ
તેમણે વાલીઓને શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓનું ઓડિટ કરવા અને સરપંચોને શાળાઓની સ્થિતિ સુધારવાની જવાબદારી લેવા અપીલ કરી હતી. દીપકેએ પ્રશ્ન કર્યો હતો કે, 'આપણે નવું સંસદ ભવન બનાવ્યું, નવું વડાપ્રધાન આવાસ બનાવ્યું, પરંતુ ગામડાઓમાં નવી શાળાઓ કેમ ન બનાવી શક્યા? શું આપણે ખેડૂતો અને મજૂરોના બાળકોને દેશનું ભવિષ્ય નથી માનતા?'

