VIDEO: "મુખ્યમંત્રી જવાબદારી નહીં સ્વીકારે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે", રાજભવન માર્ચ વિવાદમાં અટકાયત બાદ મુક્ત થતાં જ તેજસ્વી યાદવનો હુંકાર
બિહારની રાજધાની પટનામાં વિરોધ પ્રદર્શન અને લોક ભવન/રાજભવન માર્ચ દરમિયાન ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. પોલીસ પ્રશાસને RJD કાર્યાલય નજીકથી બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત પાર્ટીના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. આ ઘટના બાદ પટનાના માર્ગો પર તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. બિહારની રાજધાની પટનામાં પેપર લીક અને બેરોજગારીના મુદ્દે RJD દ્વારા આયોજિત રાજભવન/લોક ભવન માર્ચ દરમિયાન અટકાયતમાં લેવાયેલા બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવને પોલીસે પટનાના સચિવાલય પોલીસ સ્ટેશનમાંથી મુક્ત કર્યા છે.
મુક્ત થયા બાદ તેજસ્વી યાદવે સરકાર સામે આક્રમક વલણ અપનાવતાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી મુખ્યમંત્રી સમગ્ર મામલાની જવાબદારી નહીં લે અને દોષિતો સામે કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી વિદ્યાર્થીઓ અને યુવાનોના હક માટેની લડાઈ અવિરત ચાલુ રહેશે.
ઘટનાક્રમ અને વિરોધ પ્રદર્શન
વિદ્યાર્થીઓના પ્રશ્નો, પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓને લઈને RJD દ્વારા રાજભવન તરફ વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. માર્ચ આગળ વધતાં જ પોલીસે બેરિકેડ્સ લગાવીને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે વોટર કેનનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના કારણોસર પોલીસે તેજસ્વી યાદવ, RJD ના ધારાસભ્યો અને કાર્યકરોને કસ્ટડીમાં લઈ પોલીસ વાનમાં બેસાડી દીધા હતા.
તેજસ્વી યાદવના સરકાર પર પ્રહાર
અટકાયત દરમિયાન તેજસ્વી યાદવે સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું કે, સરકાર જનતા અને યુવાનોના વાજબી અવાજને દબાવવા માટે પોલીસ બળનો ઉપયોગ કરી રહી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર રાજ્યમાં RJD કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા હતા.

