VIDEO: MSP ની કાયદાકીય ગેરંટી સહ 10 માંગણીઓ મુદ્દે પંજાબમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન ઉગ્ર બન્યું
અમેએસપી સહિતની 10 જેટલી માંગણીઓ સાથે પંજાબના ખેડૂતોએ ફરીવાર આંદોલનનાં મંડાણ કર્યા હતા. ખેડૂતોઓ અમૃતસર- મોગા સહિત પાંચ જગ્યાએ રેલ રોકો આંદોલન કર્યું હતું. અમૃતસરના દેવીદાસપુરા ગામમાં કિસાન મઝદૂર સંઘર્ષ કમિટીના કાર્યકરોએ અમૃતસર-દિલ્હી રેલવે ટ્રેક પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો. જ્યારે મોગા સહિત પંજાબના અન્ય વિસ્તારોમાં પણ ખેડૂતોએ રેલ રોકીને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ દ્વારા ખેડૂતોને રેલવે ટ્રેક સુધી પહોંચતા રોકવા માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ અનેક સ્થળોએ ખેડૂતો પોલીસની અપીલને અવગણીને ટ્રેક પર પહોંચી ગયા હતા અને ત્યાં બેસીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ખેડૂતોના જણાવ્યા મુજબ તેમની મુખ્ય માંગણીઓમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSPની કાયદાકીય ગેરંટીની માંગણી મહત્વની છે. ખેડૂતો ઇચ્છે છે કે MSP માત્ર જાહેરાત પૂરતી ન સિમિત રહે પણ પાકની ખરીદી માટે કાયદાકીય સુરક્ષા અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. આ ઉપરાંત ખેડૂતોએ ખેડૂત સાથે ખેતમજૂરોની લોન માફી, અગાઉના ખેડૂત આંદોલનો દરમિયાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારોને વળતર તથા નોકરી, ઈજાગ્રસ્ત ખેડૂતોને વળતર તેમજ ખેડૂતો સામે નોંધાયેલા કેટલાક કેસો પાછા ખેંચવાની માંગ પણ કરી હતી.
ખેડૂતો દ્વારા શંભુ અને ખનૌરી બોર્ડર પર થયેલા અગાઉના આંદોલન સાથે જોડાયેલા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા હતા. આ સાથે જમીન સંપાદન, પાણીનું ઘટતા સ્તર, નદીના પાણીની સુરક્ષા, વીજળી સંબંધિત સુધારા અને બીજ સંબંધિત કાયદા જેવા મુદ્દાઓ અંગે પણ ખેડૂત સંગઠનો સરકાર પાસે સ્પષ્ટતા અને કાર્યવાહી માગી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું કહેવું છે કે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રશ્નો માત્ર ખેડૂતો પૂરતા મર્યાદિત નથી, પરંતુ ખેતમજૂરો અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે પણ સીધા જોડાયેલા છે.
બીજી તરફ રેલવે ટ્રેક પર ખેડૂતોના બેસી જવાના કારણે રેલવે વ્યવહાર પર અસર પડવાની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ તથા વહીવટી તંત્ર દ્વારા સ્થિતિને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. અમૃતસરના દેવીદાસપુરા ખાતે અમૃતસર-દિલ્હી રેલવે માર્ગ પર ખેડૂતોનું ધરણું ખાસ મહત્વનું બન્યું હતું. કારણ કે આ માર્ગ પંજાબને દેશના અન્ય વિસ્તારો સાથે જોડતો મહત્વનો રેલ માર્ગ છે.
મોગામાં પણ ખેડૂતો રેલવે ટ્રેક તરફ આગળ વધ્યા હતા અને પોલીસ દ્વારા તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમની માંગણીઓ અંગે નક્કર અને લેખિત બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.

