VIDEO: "પંજાબના પૂર્વ ડિપ્યુટી CM સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો! ગુરુદ્વારા પરિસરમાં લોહીલુહાણ થતાં જ હોસ્પિટલ ખસેડાયા
મહારાષ્ટ્રના નાંદેડમાંથી એક અત્યંત ચોંકાવનારી અને મોટા સમાચાર સામે આવ્યા છે. શિરોમણિ અકાલી દળ (SAD) ના વરિષ્ઠ નેતા અને પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો થયો છે. ઘટનાના તુરંત બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટનાથી રાજકીય ક્ષેત્રે અને પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે.
ગુરુદ્વારા પરિસરમાં ધારદાર હથિયારથી હુમલો
પ્રાપ્ત માહિતી મુજબ આ ઘટના નાંદેડના માતા સાહિબ કૌર વિસ્તારમાં આવેલા એક પ્રખ્યાત ગુરુદ્વારાની છે. અહીં એક નિહંગ દ્વારા કિરપાણ વડે સુખબીર સિંહ બાદલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અચાનક થયેલા હુમલા દરમિયાન સુખબીર સિંહ બાદલના જમણા હાથમાં ઈજા પહોંચી હતી. ઘટના બાદ તાત્કાલિક ધોરણે તેમને ખાનગી યશોસાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે 1 શખ્સની કરી અટકાયત અને તપાસ શરૂ
આ ગંભીર મામલાની નોંધ લઈને સ્થાનિક પોલીસે તુરંત જ સક્રિયતા દાખવી છે. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને 1 શખ્સને તાત્કાલિક ડિટેઈન કર્યો છે અને તેની પૂછપરછ શરૂ કરી દીધી છે. સુરક્ષા એજન્સીઓ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ હુમલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો અને આ સુરક્ષા ચૂક કેવી રીતે થઈ.

