'અમિત શાહ પણ રાજીનામું આપે, એક મંત્રીના રાજીનામાથી ગુસ્સો શાંત નહીં થાય' ; CJP ચીફ અભિજીત દીપકેની સરકારને ખુલ્લી ચેતવણી

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રમુખ અને સ્થાપક અભિજીત દીપકેએ કેન્દ્ર સરકાર સામે મોરચો માંડતા ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે એક મંત્રીના રાજીનામા બાદ દેશભરના વિદ્યાર્થીઓ અને જનતાનો ગુસ્સો શાંત થઈ ગયો છે તેવી ગેરસમજમાં સરકારે રહેવું જોઈએ નહીં. આ આક્રોશ માત્ર એક મંત્રી સામે નહીં, પરંતુ આખી સરકાર સામે છે.
"વિદ્યાર્થીઓને હેરાન કરાશે તો ફરી રોડ પર ઉતરીશું"
અભિજીત દીપકેએ સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "જો આ લોકો હજુ પણ સુધરશે નહીં અને વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું ચાલુ રાખશે, તો અમારી પાસે ફરીથી રસ્તા પર ઉતરવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેશે નહીં." આગામી આંદોલનની ટાઈમલાઈન અંગે પૂછવામાં આવતા તેમણે ઉમેર્યું હતું કે તેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.સરકારે લેખિતમાં ગેરંટી આપવી જોઈએ કે આંદોલનકારી વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા તમામ કાનૂની કેસો પાછા ખેંચવામાં આવશે અને ત્યારબાદ તેમને હેરાન કરવામાં આવશે નહીં.
પોલીસ કાર્યવાહી પર સવાલ અને અમિત શાહના રાજીનામાંની માંગ
20 જુલાઈના રોજ બનેલી ઘટનાઓનો ઉલ્લેખ કરતા CJP પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે, "20 જુલાઈએ પોલીસે ભારે લોહી વહાવ્યું હતું. બિહારમાં AK-47 અને દિલ્હીમાં પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો છે." તેમણે દિલ્હી પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, દિલ્હી પોલીસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હેઠળ કામ કરે છે અને જંતર-મંતર પર પથ્થરોથી ભરેલી ટ્રક તેમજ ક્ષતિગ્રસ્ત વાહનો મોકલીને આંદોલનને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તદુપરાંત, તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગનું સમર્થન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી કરી હતી. છત્રપતિ સંભાજીનગર ખાતે પોતાના નિવાસ્થાને પત્રકારો સાથે વાત કરતા દીપકેએ દાવો કર્યો હતો કે, "સંસદ ચલો માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ કરવાનો આદેશ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા જ આપવામાં આવ્યો હોવો જોઈએ. આજે દેશમાં લોકશાહી ખતરામાં છે અને કેન્દ્રીય તપાસ એજન્સીઓનો ઉપયોગ રાજકીય પક્ષોને તોડવા માટે થઈ રહ્યો છે."
કેવી રીતે શરૂ થયું આંદોલન?
અભિજીત દીપકે 'કોકરોચ જનતા પાર્ટી'ના સ્થાપક છે, જેને સોશિયલ મીડિયા પર મોટું સમર્થન મળ્યું છે. NEET પેપર લીક મામલે વિરોધ દર્શાવવા માટે તેઓ અમેરિકાથી ભારત પરત ફર્યા હતા અને જંતર-મંતર ખાતે આંદોલન શરૂ કર્યું હતું. 20 જુલાઈએ યોજાયેલા 'સંસદ ચલો માર્ચ' દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જ બાદ આ આંદોલન વધુ ઉગ્ર બન્યું હતું. દિલ્હીના અનેક વિસ્તારોમાં વિદ્યાર્થીઓના વ્યાપક વિરોધ પ્રદર્શન અને જનઆક્રોશને કારણે અંતે સરકારને નમતું જોખવું પડ્યું હતું અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

