અડવાણી, જયશંકર, કેજરીવાલ સહિતના દિગ્ગજ નેતાઓને ચૂંટણી પંચની નોટિસ

દેશભરમાં મતદાર યાદીને સચોટ અને વ્યવસ્થિત બનાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન બહાર આવેલી નોટિસની યાદીમાં અનેક અગ્રણી નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ અને દિગ્ગજ હસ્તીઓના નામ સામે આવ્યા છે. સામાન્ય નાગરિકોની જેમ જ જાણીતા લોકોના રેકોર્ડની પણ ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે, જેને કારણે આ સમગ્ર પ્રક્રિયા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.
SIR નોટિસ મેળવનાર વ્યક્તિઓ અને નોટિસ પાઠવવા પાછળના કારણો
એસ. એસ. સંધૂ : ચૂંટણી પંચના રેકોર્ડમાં નોંધાયેલા નામ અને અન્ય ઉપલબ્ધ સત્તાવાર દસ્તાવેજો વચ્ચે સ્પેલિંગમાં તફાવત હોવાને કારણે નોટિસ પાઠવવામાં આવી છે.
એસ. જયશંકર : મતદાર યાદીની ચકાસણી દરમિયાન ચૂંટણી રેકોર્ડ અને ઉપલબ્ધ દસ્તાવેજોની માહિતીની ખરાઈ કરવાના હેતુથી નોટિસ જારી કરવામાં આવી છે.
કે. એસ. જયશંકર : વિદેશ મંત્રી એસ. જયશંકરના પત્નીના કિસ્સામાં પણ ચૂંટણી રેકોર્ડ અને દસ્તાવેજોની વિગતોની અધિકૃત ખરાઈ કરવા માટે નોટિસ આપવામાં આવી છે.
કપિલ સિબ્બલ : અગાઉના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ના રેકોર્ડ સાથે વર્તમાન ડેટા સીધો મેપ ન થઈ શકવાને કારણે સ્પષ્ટતા માટે નોટિસ મોકલવામાં આવી છે.
વિક્રમ મિસરી : વિદેશ સચિવના અગાઉના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન રેકોર્ડ સાથે હાલની માહિતીનું મેચિંગ ન થવાને લીધે દસ્તાવેજી ચકાસણી માટે નોટિસ પાઠવવામાં આવી છે.
લાલકૃષ્ણ અડવાણી : રેકોર્ડમાં જૂના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ડેટા સાથે અનમેપિંગ તેમજ ચૂંટણી દસ્તાવેજોમાં રહેલી તાર્કિક વિસંગતતાના કારણે નોટિસ જારી થઈ છે.
પ્રતિભા અડવાણી : પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણીના પુત્રીના કિસ્સામાં પણ જૂના રેકોર્ડ સાથે વિગતો ન મળવી અથવા તાર્કિક વિસંગતતા હોવાના લીધે નોટિસ આપવામાં આવી છે.
અભિષેક મનુ સિંઘવી : ચૂંટણી યાદીના જૂના ડેટા સાથે રેકોર્ડ ન મળવો અથવા ડેટાબેઝમાં રહેલી તાર્કિક વિસંગતતા અને સ્પષ્ટતા માટે નોટિસ અપાઈ છે.
અરવિંદ કેજરીવાલ : મતદાર યાદીના જૂના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન રેકોર્ડ સાથે વિગતો અનમેપ હોવી અથવા રેકોર્ડમાં તાર્કિક વિસંગતતા જણાતા ચકાસણી અર્થે નોટિસ પાઠવવામાં આવી છે.
અરવિંદ કેજરીવાલના પરિવારના સભ્યો : પરિવારના સભ્યોના મતદાર રેકોર્ડમાં પણ જૂના ડેટાબેઝ સાથે વિગતો મેળ ન ખાવી અને તાર્કિક વિસંગતતા સામે આવતા પુરાવા રજૂ કરવા નોટિસ જારી કરવામાં આવી છે.
સ્પેલિંગમાં ભૂલ અને રેકોર્ડ મિસમેચ બન્યા કારણ
ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ કેટલાક જાણીતા નામોના સ્પેલિંગમાં અગાઉના દસ્તાવેજોની સરખામણીએ તફાવત જોવા મળ્યો છે. આ ઉપરાંત અન્ય કેટલાક વરિષ્ઠ મહાનુભાવોના કિસ્સામાં જૂના ડેટાબેઝ સાથે હાલના રેકોર્ડનું સીધું મેચિંગ ન થવું અથવા તાર્કિક વિસંગતતા જેવી બાબતો સામે આવી છે. આ કારણોસર ચૂંટણી પંચ દ્વારા દસ્તાવેજી સ્પષ્ટતા અને ખરાઈ માટે નિયમ મુજબ નોટિસની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
નોટિસનો વાસ્તવિક અર્થ અને ચકાસણી પ્રક્રિયા
ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નોટિસ મળવાનો અર્થ એવો બિલકુલ નથી કે કોઈ વ્યક્તિનું નામ કાઢી નાખવામાં આવ્યું છે અથવા તેઓ અયોગ્ય ઠર્યા છે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન દરમિયાન મતદાર રેકોર્ડની ચકાસણી કરવામાં આવે છે, જેમાં માત્ર માહિતીની ખરાઈ કરવામાં આવે છે. સંબંધિત વ્યક્તિઓ જરૂરી પુરાવા અને દસ્તાવેજો રજૂ કરીને પોતાના ડેટાને અપડેટ કરાવી શકે છે.

