જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટનો મોટો આદેશ: કેન્દ્ર-પોલીસને નોટિસ, CCTV અને બોડીકેમ ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ

દિલ્હીના જંતર-મંતર પર પ્રદર્શનકારીઓ પર થયેલા લાઠીચાર્જ અને કાર્યવાહીના મામલે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની બેન્ચે CCTV, બોડી કેમ ફૂટેજ અને તમામ રેકોર્ડ સુરક્ષિત રાખવા નિર્દેશ આપ્યા છે. કોર્ટે 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે, જેના પર બાદમાં અરજીકર્તા પોતાનો પક્ષ રજૂ કરશે.
પોલીસની કાર્યવાહી ગેરબંધારણીય હોવાનો દાવો
અરજીકર્તાઓના વકીલોએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે, સોનમ વાંગચુક અને અન્ય પ્રદર્શનકારીઓને જંતર-મંતર પરથી બળજબરીથી હટાવવા તથા લાઠીચાર્જ કરવો ગેરબંધારણીય હતો. વકીલ એન હરિહરને જણાવ્યું હતું કે, 'જ્યારે વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કર્યું, ત્યારે તે તેમના બંધારણીય અધિકારોનો ભાગ હતું. પરંતુ બાદમાં પ્રદર્શનકારીઓ પર અતિશય બળપ્રયોગ અને બર્બરતા કરવામાં આવી હતી, જે અત્યંત ચિંતાજનક છે.'
હાઈકોર્ટે પોલીસની ભૂમિકા સામે પ્રશ્નો ઉઠાવ્યા
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે, જો પોલીસના મતે આ ગેરકાયદે મંડળી હતી, તો કાયદામાં આવી સ્થિતિને પહોંચી વળવા ચોક્કસ પ્રક્રિયા નક્કી કરાયેલી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાયેલા હોય, ત્યારે દરેક વ્યક્તિને અલગથી FIR નોંધાવવા કહેવું યોગ્ય નથી.
કેન્દ્ર સરકારે અરજીને પબ્લિસિટી સ્ટંટ ગણાવી
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા ASG રાજુએ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, 'આ અરજીઓ માત્ર પબ્લિસિટી અને લાઇમલાઇટ મેળવવા માટે કરવામાં આવી છે. જેમના પર કથિત હુમલો થયો છે તેમાંથી કોઈ સામે આવ્યું નથી. પ્રદર્શન શાંતિપૂર્ણ નહોતું, પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા અને વાહનોને નુકસાન પહોંચાડાયું હતું. જ્યારે હિંસા થાય ત્યારે પોલીસે કાર્યવાહી કરવી જ પડે છે.'

